સુરત ખાતે આયોજિત સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના કાર્યક્રમમાં લોકસભા સાંસદ પરષોત્તમ રૂપાલાએ સમાજને કડવી પરંતુ હકીકતભરી વાતો કહી. જાહેર મંચ પરથી તેમણે પાટીદાર સમાજના આગેવાનોને આકરી ટકોર કરી હતી અને સમાજ માટે મજબૂત બંધારણ ઘડવાની તાતી જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો.
પરષોત્તમ રૂપાલાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “સમાજના કાર્યક્રમોમાં નેતાઓનું ભાષણ ચાલતું હોય અને પાછળથી લોકો ખાલી થઈ જતા હોય, એ સ્થિતિ સમાજ માટે ચેતવણી સમાન છે.” તેમણે સમાજમાં વધતા દેખાડા, ખોખલા આડંબર અને જવાબદારીના અભાવ તરફ ઈશારો કર્યો હતો. છૂટાછેડા પછી પિતા પૈસાની ગણતરીમાં લાગી જાય તે સ્થિતિને તેમણે “શરમજનક” ગણાવી સમાજની મૂલ્યવ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા.
તેમણે સમાજમાં વધતા છૂટાછેડા, કુટુંબ વિખરાવ અને વ્યક્તિગત સ્વાર્થને ભવિષ્ય માટે ખતરારૂપ ગણાવ્યા હતા. સાથે જ, કુરિવાજો, બિનજરૂરી ખર્ચ અને સામાજિક પ્રસંગોમાં દેખાતી અસંગત પરંપરાઓ પર નિયંત્રણ લાવવાની અપીલ કરી હતી. રૂપાલાના મતે, સમાજમાં આંતરિક અનુશાસન, શિક્ષણ અને સંસ્કાર મજબૂત ન બને ત્યાં સુધી દીર્ઘકાલીન પ્રગતિ શક્ય નથી.
સુરતના આ કાર્યક્રમમાં તેમણે સમાજમાં આવતા પરિવર્તનો, વર્તમાન સ્થિતિ અને ભવિષ્યના પડકારો અંગે ખૂબ જ ગંભીર અને મનનીય વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું કે જો સમાજ પોતે આત્મવિમર્શ કરીને નિયમો અને બંધારણ ઘડશે, તો જ નવી પેઢી માટે મજબૂત અને સંસ્કારસભર ભવિષ્ય રચી શકાશે.





















