Parimal Nathwani : પરિમલ નથવાણી ઝારખંડ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા ચોથી ટર્મ માટે રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા છે. નોંધનીય છે કે રાજ્યમાં 2 રાજ્યસભા બેઠકો માટે 3 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં પરિમલ નથવાણીએ ભવ્ય વિજય મેળવ્યો છે. ઝારખંડમાંથી નથવાણી ત્રીજા કાર્યકાળ માટે ચૂંટાઈ આવતા, આ રાજ્યે સંસદમાં એક બુલંદ અને વિકાસ-લક્ષી અવાજ મેળવ્યો છે, જે કોર્પોરેટ રોકાણ અને લક્ષ્યાંકિત જાહેર કલ્યાણ તેમજ વિકાસ પહેલો એ બંનેને ચલાવવા માટે સંપૂર્ણ સક્ષમ છે.
ઐતિહાસિક રેકોર્ડ અને ઝારખંડમાં વાપસી
નથવાણી અગાઉ 2008 અને 2020 વચ્ચે ઝારખંડથી અપક્ષ સાંસદ તરીકે અત્યંત અસરકારક અને સતત એવી 2 ટર્મ સુધી સેવા આપી ચૂક્યા છે. તેઓ રાજ્યસભાના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા અપક્ષ સાંસદ હોવાનો ખાસ રેકોર્ડ ધરાવે છે. વર્ષ 2020માં આંધ્રપ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યા બાદ, તેમનું ઝારખંડથી ફરીથી ચૂંટાઈ આવવું એ આ રાજ્યમાં તેમની મહત્વપૂર્ણ વાપસી દર્શાવે છે. નથવાણીએ ઝારખંડને ઘણા લાંબા સમય અગાઉથી જ પોતાની "કર્મભૂમિ" તરીકે જાહેર કરી દીધી છે.
શીર્ષ નેતૃત્વ અને સાથી પક્ષોનો આભાર
પોતાની આ જીતમાં સહયોગ બદલ તેમણે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય ભાજપ પ્રમુખ નીતિન નબીન, ઝારખંડ ભાજપ પ્રમુખ આદિત્ય સાહુ, ઝારખંડ વિધાનસભામાં ભાજપના નેતા બાબુલાલ મરાંડી, ભાજપના મુખ્ય વ્હીપ નવીન જયસ્વાલ તેમજ ભાજપ અને NDAના સાથી પક્ષોના તમામ ધારાસભ્યોનો પોતાના આ વિજયમાં સહયોગ આપવા બદલ હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
આ પણ ખાસ વાંચો : CA Final Result 2026નું રિઝલ્ટ થયું જાહેર : નૂર સિંગલાએ પરીક્ષામાં 499 માર્ક્સ અને 83.17% સાથે દેશભરમાં મેળવ્યું પ્રથમ સ્થાન
ભવિષ્યનું વિઝન અને ગ્રામીણ વિકાસનો રોડમેપ
રાજ્ય માટે પોતાના વિઝન અને ભવિષ્યના વિકાસના રોડમેપ વિશે પરિમલ નથવાણીએ કહ્યું હતું કે, "અહીં એક દાયકાથી વધુ સમય વિતાવ્યા બાદ, ઝારખંડ હવે મારા માટે નવું સ્થળ નથી. તે મારી કર્મભૂમિ છે. રાજ્યસભામાં ફરી એકવાર અહીંના લોકોની સેવા કરવાની મને તક મળી તે બદલ હું ખૂબ આભારી છું. આગળ વધતાં, હું મારું ધ્યાન ગ્રામીણ વિસ્તારો તરફ કેન્દ્રિત કરીશ, જ્યાં અમે મજબૂત કૌશલ્યવર્ધન કાર્યક્રમો ચલાવીને તેમજ કુટીર ઉદ્યોગને પુનર્જીવિત કરીને એકદમ પાયાના સ્તરે આજીવિકાની ટકાઉ તકોનું સર્જન કરવા માગીએ છીએ. ગ્રામીણ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ, આરોગ્યસંભાળ સુવિધાઓ અને શિક્ષણનો વિકાસ કરવા પર મારું ધ્યાન કેન્દ્રિત રહેશે."
સંસદીય જવાબદેહિતા અને આદર્શ ગ્રામ યોજના
પોતાની અગાઉની બે ટર્મ દરમિયાન, નથવાણીએ સંસદીય જવાબદેહિતા અને સામાજિક વિકાસ માટે એક સીમાચિહ્ન સ્થાપિત કર્યો હતો. તેમણે સાંસદ આદર્શ ગ્રામ યોજના (SAGY) માટે સાંસદ સ્થાનિક વિસ્તાર વિકાસ (MPLAD) ફંડના લગભગ 100 ટકા હિસ્સાનો ઉપયોગ ગ્રામીણ વિકાસ, માળખાગત સુવિધાઓની સ્થાપના, શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા પાછળ કર્યો હતો. SAGY હેઠળ તેમના દ્વારા દત્તક લેવામાં આવેલી ત્રણ આદર્શ ગ્રામ પંચાયતો બડામ-જરાટોલી, ચુટ્ટુ અને બરવાડાગ તેમજ ત્યાં કરાયેલા વિકાસના કાર્યો માત્ર ચર્ચાસ્પદ નહીં, પરંતુ અનુકરણીય રહ્યા છે.
વ્યક્તિગત ભંડોળમાંથી જનકલ્યાણના મોટા કાર્યો
રાજ્યમાં તેમનું સૌથી મોટું યોગદાન એ હતું કે તેમણે પોતાના સાંસદ ભંડોળ જ નહીં બલ્કે પોતાના વ્યક્તિગત ફંડમાંથી પણ IIM-રાંચી માટે 600 લોકોની બેઠક ક્ષમતા ધરાવતો અત્યાધુનિક સેમિનાર હોલ બનાવવા રૂ. 15 કરોડ આપ્યા હતા. તેમણે પોતાના અંગત ભંડોળમાંથી ₹1.07 કરોડ ખર્ચીને રાતુ રોડ સ્થિત જર્જરિત રાંચી મ્યુનિસિપલ કોર્પોરેશન હોસ્પિટલનું પુનર્નિર્માણ કરાવ્યું હતું, રાજ્યભરમાં આરોગ્ય પેટા-કેન્દ્રોની સ્થાપના કરી હતી તેમજ અનેક એમ્બુલન્સનું દાન કર્યું હતું. તેમણે બડામમાં ત્રણ માળની 'મોડેલ સ્કૂલ', કરમટોલીમાં આદિવાસી છાત્રાલય માટે પુસ્તકાલયના બિલ્ડીંગ અને ગ્રામીણ યુવાનો માટે મફત કમ્પ્યુટર કૌશલ્ય કેન્દ્રોની સ્થાપના પણ કરી હતી.
આ પણ ખાસ વાંચો : “પહેલાં કહેવાતું હતું, ‘દેખ સપાઈ બિટિયા ઘબરાઈ'” : ઉન્નાવમાં CM યોગીનો સપા-કોંગ્રેસ પર પ્રહાર
પાયાની સુવિધાઓ અને સંસદમાં સક્રિય રજૂઆત
સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ, તેમણે પીવાના પાણી માટે ઊંડા બોરિંગની યોજનાઓ સ્થાપિત કરી, અનેક પાકી (PCC) સડક બનાવડાવી હતી, સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કર્યા અને ગ્રામીણ ઘરોમાં સૌર લેમ્પનું વિતરણ કર્યું હતું. તેમણે સારણા સ્થળ, મસ્ના અને મડાઈ સ્થળ સહિત પવિત્ર આદિવાસી ધાર્મિક સ્થળોનું નવસર્જન અને પુનઃસ્થાપન કર્યું હતું, જ્યારે સ્થાનિક યુવાનો માટે સ્ટેડિયમ, સ્પોર્ટ્સ ગેલેરી અને સમુદાયિક ઉદ્યાનો બનાવડાવ્યા હતા. આ વ્યાપક વિકાસલક્ષી કાર્યો ઉપરાંત, નથવાણી સંસદમાં ઝારખંડના સૌથી સક્રિય પ્રતિનિધિઓમાંથી એક રહ્યા છે. તેમણે રાજ્યસભામાં ઝારખંડના વિકાસને લગતા 1,200થી વધુ પ્રશ્નો ઉઠાવ્યા છે, જેમાં ગ્રામીણ વિકાસ, દુષ્કાળ વ્યવસ્થાપન, કુપોષણ, માળખાગત સુવિધાઓમાં વિલંબ, ન્યાયાધીશોની ખાલી જગ્યાઓ અને શિક્ષણ સંસ્થાઓના આધુનિકીકરણ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓની આક્રમક ઢબે રજૂઆત કરી હતી.





