Home National Karnataka Mlc Election Congress Wins 5 Seats Cross Voting

કર્ણાટક MLC ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો : ડીકે શિવકુમારે ફેરવી દીધી આખી રમત, કોંગ્રેસે જીતી 5 બેઠકો

D. K. Shivakumar
Published by: Aryan Shah
Last Updated: Jun 18, 2026, 02:22 PM IST

D. K. Shivakumar : કર્ણાટક વિધાન પરિષદ (MLC) ની 7 બેઠકો માટે થયેલી ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કરીને 5 બેઠકો પર વિજય મેળવ્યો છે. જ્યારે ભાજપના ફાળે માત્ર 2 બેઠકો આવી છે અને જેડીએસ (JDS) ના ઉમેદવારની હાર થઈ છે. કોંગ્રેસ પાસે પાંચમી બેઠક જીતવા માટે પૂરતું સંખ્યાબળ નહોતું, પરંતુ ડીકે શિવકુમારની આગેવાનીમાં ભાજપના ધારાસભ્યો પાસે ક્રોસ વોટિંગ કરાવીને કોંગ્રેસે આ અશક્ય જીત મેળવી બતાવી છે.

ક્રોસ વોટિંગનો મોટો ખેલ

ચૂંટણીના મતદાન દરમિયાન તમામ 222 ધારાસભ્યોએ પોતાના મત આપ્યા હતા. આ દરમિયાન ભાજપમાંથી હાંકી કાઢવામાં આવેલા 3 ધારાસભ્યોમાંથી બે ધારાસભ્યો એસ ટી સોમશેખર અને શિવરામ હેબ્બરે કોંગ્રેસની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું હતું. મતદાન પૂર્ણ થયા બાદ બંને નેતાઓએ પત્રકારોને જણાવ્યું હતું કે તેમણે કોઈ દબાણમાં આવ્યા વગર પોતાના અંતરાત્માના અવાજ પર કોંગ્રેસને મત આપ્યો છે. આ બંને ધારાસભ્યો ચૂંટણી પહેલા કોંગ્રેસના રિસોર્ટમાં પણ જોવા મળ્યા હતા.

આ પણ ખાસ વાંચો : ચોથી વખત રાજ્યસભામાં પહોંચ્યા પરિમલ નથવાણી : 1,200થી વધુ પ્રશ્નો ઉઠાવનાર સાંસદને ફરી મળ્યો ઝારખંડનો આશીર્વાદ

ચૂંટણી જીતવાનું ગણિત

આ વિધાન પરિષદ ચૂંટણીમાં દરેક ઉમેદવારને જીતવા માટે ઓછામાં ઓછા 28 મતોની જરૂર હતી. વિધાનસભામાં પક્ષોની સંખ્યાના આધારે કોંગ્રેસ 4 બેઠકો અને ભાજપ 2 બેઠકો સરળતાથી જીતી શકે તેમ હતી. પરંતુ 7મી બેઠક માટે કોંગ્રેસ અને જેડીએસ બંનેએ ઉમેદવારો ઉભા રાખ્યા હોવાથી મુકાબલો રોમાંચક બન્યો હતો. જરૂરી સંખ્યાબળ ન હોવા છતાં ડીકે શિવકુમારની યોજનાને કારણે કોંગ્રેસે 5મી બેઠક પોતાના નામે કરી લીધી છે.

આ પણ ખાસ વાંચો : “પહેલાં કહેવાતું હતું, ‘દેખ સપાઈ બિટિયા ઘબરાઈ'” : ઉન્નાવમાં CM યોગીનો સપા-કોંગ્રેસ પર પ્રહાર

મુખ્ય ઉમેદવારો અને નેતાઓ

આ ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી થિપ્પનપ્પા કામકાનુર, પી વી મોહન, બી કે હરિપ્રસાદ, શિવન્ના બી એસ અને વિનય કાર્તિક પ્રકાશે જીત મેળવી છે. જ્યારે ભાજપ તરફથી લિંગરાજ પાટિલ અને રઘુ આર વિજેતા બન્યા છે અને જેડીએસના ગોવિંદરાજુ ચૂંટણી હારી ગયા છે. આ ચૂંટણી એટલા માટે જરૂરી હતી કારણ કે 7 વિધાન પરિષદ સભ્યોનો કાર્યકાળ 30 જૂને સમાપ્ત થઈ રહ્યો છે. મતદાન કરનારા અગ્રણી નેતાઓમાં ડી કે શિવકુમાર, સિદ્ધારમૈયા, જી પરમેશ્વર અને વિરોધ પક્ષના નેતા આર અશોક સામેલ હતા.

આ પણ ખાસ વાંચો : CA Final Result 2026નું રિઝલ્ટ થયું જાહેર : નૂર સિંગલાએ પરીક્ષામાં 499 માર્ક્સ અને 83.17% સાથે દેશભરમાં મેળવ્યું પ્રથમ સ્થાન

વિકાસના નામે આપ્યો વોટ

કોંગ્રેસને મત આપ્યા બાદ ધારાસભ્ય એસ ટી સોમશેખરે જણાવ્યું કે તેમણે પોતાના વિસ્તારના વિકાસ માટે કોંગ્રેસની તરફેણમાં મતદાન કર્યું છે. તેમણે ઉમેર્યું કે ભાજપ કે જેડીએસમાંથી કોઈએ તેમનો ટેકો માંગ્યો નહોતો, જ્યારે ડી કે શિવકુમારે તેમને ફોન કરીને રિસોર્ટમાં રાખેલી મીટિંગમાં બોલાવ્યા હતા. બીજી તરફ ભાજપના અન્ય સભ્ય બસનાગૌડા પાટિલ યત્નાલે પાર્ટીના નિર્દેશ મુજબ જ ભાજપને વોટ આપ્યો હતો. ક્રોસ વોટિંગના ડરથી કોંગ્રેસ અને જેડીએસ બંને પક્ષોએ પોતાના ધારાસભ્યોને રિસોર્ટમાં રાખ્યા હતા.

શિવકુમારનો રણનીતિ અંગે ખુલાસો

આ દરમિયાન, ડી કે શિવકુમારે ચૂંટણી બાદ ક્રોસ વોટિંગની કોઈ પણ ચોક્કસ રણનીતિ હોવાનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે કોંગ્રેસે માત્ર પોતાના ધારાસભ્યો સાથે ચર્ચા કરી હતી અને ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરી રહેલા ધારાસભ્યોને પ્રક્રિયાની યોગ્ય માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ધારાસભ્યો સમજદાર અને જનતાના પ્રતિનિધિ છે, તેથી કોઈ ખાસ રણનીતિ બનાવવાની જરૂર નહોતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now