બોલિવૂડની આઇકોનિક કોમેડી ફ્રેન્ચાઇઝી ફિલ્મ ‘હેરા ફેરી’ના ચાહકો માટે ખુશખબર! દિગ્ગજ અભિનેતા પરેશ રાવલે ‘હેરા ફેરી 3’માં તેમના લોકપ્રિય પાત્ર બાબુરાવ ગણપતરાવ આપ્ટે તરીકે વાપસીની પુષ્ટિ કરી છે. થોડા સમય પહેલાં પરેશ રાવલે ફિલ્મ છોડી દીધી હોવાની જાહેરાત કરી હતી, જેના કારણે ચાહકો નિરાશ થયા હતા. જોકે, હવે તેમણે હિમાંશુ મહેતાના પોડકાસ્ટમાં જણાવ્યું કે, “બધું ઉકેલાઈ ગયું છે, હવે કોઈ વિવાદ નથી.” આ સમાચારે ફિલ્મના ચાહકોમાં ઉત્સાહનું વાતાવરણ સર્જ્યું છે.
પરેશ રાવલના અચાનક ફિલ્મ છોડવાના નિર્ણય બાદ અક્ષય કુમારની પ્રોડક્શન કંપની ‘કેપ ઓફ ગુડ ફિલ્મ્સ’એ તેમની સામે 25 કરોડ રૂપિયાનો કેસ ઠોક્યો હતો, જેના કારણે વિવાદે જોર પકડ્યું હતું. આ દાવામાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પરેશના નિર્ણયથી ફિલ્મના શૂટિંગ શેડ્યૂલમાં વિક્ષેપ પડ્યો અને નાણાકીય નુકસાન થયું. જોકે, પરેશે તેમના વકીલ અમીત નાઈક દ્વારા આ મામલાનો જવાબ આપ્યો અને 11 લાખ રૂપિયા 15 ટકા વ્યાજ સાથે પરત કર્યા. આ સમાધાન બાદ પરેશે સ્પષ્ટ કર્યું કે તેમનું ફિલ્મ છોડવાનું કારણ સર્જનાત્મક મતભેદ નહોતું, અને તેઓ પ્રિયદર્શન, અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટી સાથે લાંબા સમયથી મિત્રો છે.
‘હેરા ફેરી 3’નું શૂટિંગ આવતા વર્ષે જાન્યુઆરીમાં શરૂ થવાની શક્યતા છે, અને ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરેશ રાવલ પોડકાસ્ટમાં જણાવ્યું કે, “ફિલ્મ પહેલાંથી જ બનવાની હતી, પણ અમારે થોડું ફાઇન-ટ્યૂનિંગ કરવાની જરૂર હતી.” તેમણે એમ પણ ઉમેર્યું કે પ્રિયદર્શન, અક્ષય અને સુનીલ જેવા સર્જનાત્મક લોકો સાથે કામ કરવું હંમેશાં આનંદદાયક હોય છે. ચાહકો હવે આ ત્રણેય કલાકારોની જોરદાર કેમેસ્ટ્રી અને હાસ્યની રાહ જોઈ રહ્યા છે.
આ વાપસીએ ફિલ્મની સફળતા માટેની આશાઓને વધુ મજબૂત કરી છે. પરેશ રાવલે ચાહકોના પ્રેમ અને અપેક્ષાઓનું મહત્વ સમજાવતાં કહ્યું કે, “જ્યારે લોકો કોઈ વસ્તુને ખૂબ પ્રેમ કરે છે, ત્યારે અમારે વધુ સાવચેત રહીને ગુણવત્તાયુક્ત કામ આપવું જોઈએ.” ‘હેરા ફેરી 3’માં બાબુરાવના આઇકોનિક ડાયલોગ્સ અને હાસ્યની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, અને આ ફિલ્મ ફરી એકવાર બોલિવૂડની કોમેડીનો જાદુ ફેલાવવા માટે તૈયાર છે.
જોકે, આ ખુશખબર વચ્ચે કેટલાક ચાહકો સોશિયલ મીડિયા પર આ વિવાદ અને તેના ઝડપી સમાધાનને પીઆર સ્ટંટ ગણાવી રહ્યા છે. X પર ચાહકોની પ્રતિક્રિયાઓમાં ઘણાએ લખ્યું કે આ બધું ફિલ્મની પબ્લિસિટી માટે રચાયેલી ચાલ હોઈ શકે છે, જેથી ‘હેરા ફેરી 3’ ચર્ચામાં રહે. એક યુઝરે લખ્યું, “આ વિવાદ એક ડ્રામા હતો, પણ બાબુરાવની વાપસીથી બધું માફ!” આવી મિશ્ર પ્રતિક્રિયાઓ હોવા છતાં, મોટાભાગના ચાહકો બાબુરાવના પાત્ર અને ફિલ્મની રિલીઝ માટે ઉત્સાહિત છે.




















