સુદાનમાં સૈન્ય સામે લડી રહેલા અર્ધલશ્કરી દળ ઓમદુરમનના એક ખુલ્લા બજાર પર હુમલો કર્યો, જેમાં 54 લોકો માર્યા ગયા અને ઓછામાં ઓછા 158 લોકો ઘાયલ થયા છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી. સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદન આપતા કહ્યું કે સબરીન માર્કેટ પર રેપિડ સપોર્ટ ફોર્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંસ્કૃતિ મંત્રી અને સરકારના પ્રવક્તા ખાલેદ અલ-અલીસિરે હુમલાની નિંદા કરતા કહ્યું કે માર્યા ગયેલાઓમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. તેમણે એમ પણ કહ્યું કે આ હુમલામાં ખાનગી અને જાહેર મિલકતોને ભારે નુકસાન થયું છે. "આ ગુનાહિત કૃત્ય આ લશ્કરના લોહિયાળ રેકોર્ડમાં ઉમેરો કરે છે. તે આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે".
મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો
સુદાનના ડૉક્ટર્સ સિન્ડિકેટે RSFએ હુમલાની નિંદા કરી અને કહ્યું કે અલ-નાવ હોસ્પિટલથી થોડી મીટર દૂર એક શેલ પડ્યો હતો, જ્યાં મોટાભાગની જાનહાનિ બજારમાં થઈ હતી. સિન્ડિકેટે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં લાવવામાં આવેલા મોટાભાગના મૃતદેહો મહિલાઓ અને બાળકોના હતા. એમ પણ કહ્યું કે હોસ્પિટલમાં મેડિકલ ટીમો, ખાસ કરીને સર્જન અને નર્સોની અછત છે.
ગત સપ્તાહે થયેલા હુમલામાં 70 લોકો માર્યા ગયા
સુદાનમાં ઘર્ષણ એપ્રિલ 2023માં શરૂ થયું જ્યારે સૈન્ય અને RSF વચ્ચેનો તણાવ રાજધાની ખાર્તુમ અને ઉત્તરપૂર્વ આફ્રિકન દેશના અન્ય શહેરોમાં ખુલ્લી લડાઈમાં વધી ગયો. હાલના હુમલાએ દેશને ગૃહયુદ્ધ તરફ ધકેલી દીધો છે. ગત સપ્તાહે, ડાર્ફુરના પશ્ચિમ વિસ્તારમાં અલ ફશરની એકમાત્ર હોસ્પિટલ પર RSFના હુમલામાં લગભગ 70 લોકો માર્યા ગયા હતા. 28 હજારથી વધુ લોકો માર્યા ગયા અને લાખો લોકોને ઘર છોડીને ભાગી જવાનો વારો આવ્યો. અને દેશના ઘણા ભાગોમાં દુષ્કાળના કારણે કેટલાક પરિવારો જીવવા માટે ઘાસ ખાય છે.





