Home National Paper Leak Protest State Education Ministers India

કર્ણાટક, પંજાબ અને ઝારખંડ...ધર્મેન્દ્ર પ્રધાન પછી હવે કોનો વારો? : હવે રાજ્યોના શિક્ષણ મંત્રીઓ સામે વિરોધ પ્રદર્શન

Paper Leak Protest Against State Education Ministers
Published by: Nirali Gohil
Last Updated: Jul 27, 2026, 09:32 AM IST

Paper Leak Protest Against State Education Ministers: કેન્દ્રીય શિક્ષણમંત્રી પદેથી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પેપર લીકનો મુદ્દો હવે માત્ર કેન્દ્ર સરકાર પૂરતો મર્યાદિત રહ્યો નથી. દેશના અનેક રાજ્યોમાં વિદ્યાર્થીઓ અને વિવિધ વિદ્યાર્થી સંગઠનો હવે રાજ્ય સરકારોને પણ જવાબદાર ઠેરવી રહ્યા છે. ઝારખંડ, પંજાબ, કર્ણાટક, કેરળ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં શિક્ષણ વ્યવસ્થાને લઈને વિરોધ પ્રદર્શન શરૂ થયા છે, જેમાં સંબંધિત રાજ્યોના શિક્ષણ મંત્રીઓના રાજીનામાની માંગ ઉઠી રહી છે. વિદ્યાર્થી સંગઠનોનું કહેવું છે કે, જો પરીક્ષા પ્રણાલીમાં થયેલી ગેરરીતિઓની નૈતિક જવાબદારી સ્વીકારીને કેન્દ્રીય શિક્ષણમંત્રી પદ છોડવામાં આવ્યું હોય, તો જ્યાં જ્યાં ભરતી પરીક્ષાઓ અથવા શૈક્ષણિક પરીક્ષાઓમાં ગેરરીતિના આક્ષેપો થયા છે ત્યાંના શિક્ષણ મંત્રીઓ સામે પણ સમાન જવાબદારી નક્કી થવી જોઈએ. આ મુદ્દે હવે દેશના અનેક રાજ્યોમાં રાજકીય અને શૈક્ષણિક ચર્ચા વધુ તેજ બની રહી છે.

અનેક રાજ્યોમાં વિરોધ પ્રદર્શન શરૂ

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ વિવિધ વિદ્યાર્થી સંગઠનોએ હવે રાજ્ય સરકારો સામે પણ વિરોધનો કાર્યક્રમ જાહેર કર્યો છે. લખનૌ સહિત અનેક શહેરોમાં વિદ્યાર્થીઓએ દેખાવો કરવાની જાહેરાત કરી છે. વિરોધ કરનારાઓનું કહેવું છે કે,પેપર લીક અને પરીક્ષા ગેરરીતિના બનાવો કોઈ એક રાજ્ય સુધી મર્યાદિત નથી. વિવિધ રાજ્યોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ભરતી પરીક્ષાઓ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈને વિવાદો સામે આવ્યા છે. તેથી જવાબદારી પણ તમામ સ્તરે નક્કી થવી જોઈએ.

પંજાબમાં ભરતી પરીક્ષાઓને લઈને રાજકીય ઘર્ષણ

પંજાબમાં તાજેતરમાં બે ભરતી પરીક્ષાઓને લઈને રાજકીય વિવાદ વધુ ગરમાયો છે. કોંગ્રેસ, ભાજપ અને શિરોમણી અકાલી દળે રાજ્ય સરકાર સામે પરીક્ષા પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપો કર્યા છે. વિપક્ષનો આરોપ છે કે, ભરતી પ્રક્રિયામાં ગંભીર અનિયમિતતાઓ થઈ છે અને પરીક્ષાની પારદર્શિતા પર પ્રશ્નો ઊભા થયા છે. જોકે, રાજ્ય સરકારનો દાવો છે કે, પ્રશ્નપત્ર અગાઉથી લીક થયો નહોતો, પરંતુ પરીક્ષા દરમિયાન હાઈ-ટેક નકલના કાવતરાનો સમયસર પર્દાફાશ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: જેના નામથી આખું ગામ છાજિયા લેતું હતું તેને કેમ પહેરાવી પાઘડી? : ધર્મેન્દ્ર પ્રધાનનું આટલું બધુ બહુમાન બન્યું ચર્ચાનો વિષય

ફાર્મસી ઓફિસર ભરતી પરીક્ષા વિવાદમાં

પંજાબના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ ફાર્મસી ઓફિસરની ભરતી પરીક્ષા દરમિયાન પોલીસે વિવિધ કેન્દ્રો પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન અનેક ઉમેદવારો અને અન્ય લોકોની અટકાયત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેટલાક ઉમેદવારો પાસેથી વાયરલેસ બ્લૂટૂથ ડિવાઇસ અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો મળ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. પોલીસે એવો પણ આરોપ મૂક્યો હતો કે પરીક્ષા દરમિયાન પ્રશ્નપત્રની માહિતી બહાર મોકલીને ઉમેદવારોને રિયલ-ટાઇમમાં જવાબ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. જોકે, પંજાબ સરકારે સ્પષ્ટ કર્યું છે કે, આ ઘટના પૂર્વનિયોજિત પેપર લીક નહીં પરંતુ પરીક્ષા દરમિયાન થયેલી હાઈ-ટેક નકલનો કેસ હતો, જેને સમયસર નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો.

ADO ભરતી પરીક્ષાને લઈને પણ વિવાદ

પંજાબમાં કૃષિ વિકાસ અધિકારી (ADO) ભરતી પરીક્ષાને લઈને પણ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. વિપક્ષી પક્ષોનો આરોપ છે કે પરીક્ષાના પ્રશ્નપત્ર અંગે ગેરરીતિ થઈ હતી અને સમગ્ર મામલે પારદર્શક તપાસ થવી જોઈએ. આ મુદ્દે કૃષિ ક્ષેત્રના ઉમેદવારો અને યુવા સંગઠનોએ પણ વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા અને પરીક્ષા પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી.

આંધ્ર પ્રદેશમાં પણ શિક્ષણમંત્રીને ઘેરવાનો પ્રયાસ

આંધ્ર પ્રદેશમાં મેગા DSC-2025 શિક્ષક ભરતી પરીક્ષાને લઈને વિરોધ પક્ષ YSR કોંગ્રેસ પાર્ટીએ રાજ્યના શિક્ષણમંત્રી નારા લોકેશ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પાર્ટીએ ભરતી પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવનો આરોપ લગાવી શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ કરી છે. સાથે જ સમગ્ર મામલે કોર્ટની દેખરેખ હેઠળ CBI તપાસ કરાવવાની પણ માંગ કરવામાં આવી છે. YSR કોંગ્રેસનું કહેવું છે કે, ભરતી પ્રક્રિયાથી જોડાયેલા કેટલાક મુદ્દાઓને કારણે લાખો ઉમેદવારોના ભવિષ્ય પર અસર પડી છે. જોકે, આક્ષેપો અંગે રાજ્ય સરકાર તરફથી અલગ અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: પેપર લીક બાદ હવે E20 વિરુદ્ધ દેશવ્યાપી આંદોલનની તૈયારી! : 4 ઓગસ્ટે સંસદ કૂચ કરશે ટેક્સી યુનિયન

તેલંગાણામાં શિક્ષણ મુદ્દે સરકારને ઘેરાઈ

તેલંગાણામાં ભાજપે રાજ્ય સરકાર સામે શિક્ષણ સંબંધિત મુદ્દાઓને લઈને વિરોધ નોંધાવ્યો છે. ભાજપના નેતાઓએ વિદ્યાર્થીઓને મળવાપાત્ર ટ્યુશન ફી રિઇમ્બર્સમેન્ટની બાકી રકમ ચૂકવવામાં વિલંબ અને શિક્ષણ સંબંધિત નીતિઓને લઈને રાજ્ય સરકારની ટીકા કરી છે. વિપક્ષનું કહેવું છે કે, શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રશ્નોનું સમયસર નિરાકરણ ન આવે તો વિદ્યાર્થીઓમાં અસંતોષ વધશે.

પેપર લીક મુદ્દે દેશવ્યાપી રાજકીય ચર્ચા

દેશમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ ભરતી પરીક્ષાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈને ગેરરીતિ, પેપર લીક અને પરીક્ષા પ્રક્રિયાની પારદર્શિતા અંગે સતત ચર્ચા ચાલી રહી છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ હવે આ મુદ્દો વધુ રાજકીય બની ગયો છે. વિદ્યાર્થી સંગઠનો વિવિધ રાજ્યોમાં જવાબદારી નક્કી કરવાની માંગ કરી રહ્યા છે, જ્યારે અલગ-અલગ રાજ્ય સરકારો પોતપોતાના પક્ષમાં સ્પષ્ટતા આપી રહી છે. ઘણા કેસોમાં તપાસ ચાલુ છે અને કેટલાક મામલાઓ કોર્ટમાં પણ વિચારાધીન છે. આગામી દિવસોમાં વિદ્યાર્થી સંગઠનોના વિરોધ કાર્યક્રમો અને રાજકીય પક્ષોની પ્રતિક્રિયાઓને કારણે આ મુદ્દે વધુ ગરમાવો જોવા મળી શકે છે. હાલ દેશભરના વિદ્યાર્થીઓ અને ઉમેદવારોની નજર સરકારો દ્વારા લેવામાં આવનારા આગામી નિર્ણયો પર ટકેલી છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

તેલંગાણામાં ભાજપે વિદ્યાર્થીઓને મળવાપાત્ર ટ્યુશન ફી રિઇમ્બર્સમેન્ટની બાકી રકમ ચૂકવવામાં થઈ રહેલા વિલંબ અને શિક્ષણ સંબંધિત નીતિઓને લઈને રાજ્ય સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે.

આંધ્ર પ્રદેશમાં મેગા DSC-2025 શિક્ષક ભરતી પરીક્ષામાં પારદર્શિતાના અભાવનો આરોપ લગાવીને વિરોધ પક્ષ YSR કોંગ્રેસ પાર્ટીએ રાજ્યના શિક્ષણમંત્રી નારા લોકેશના રાજીનામાની અને સમગ્ર મામલાની કોર્ટની દેખરેખ હેઠળ CBI તપાસ કરાવવાની માંગ કરી છે.

ફાર્મસી ઓફિસરની પરીક્ષા દરમિયાન બ્લૂટૂથ અને ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા રિયલ-ટાઇમમાં જવાબ મેળવવાનો પ્રયાસ કરાતો હોવાનું સામે આવ્યું હતું. જોકે, પંજાબ સરકારે સ્પષ્ટતા કરી હતી કે આ ઘટના પૂર્વનિયોજિત પેપર લીક નહીં પરંતુ હાઈ-ટેક નકલનો કેસ હતો, જેને પોલીસે સમયસર નિષ્ફળ બનાવ્યો હતો.

વિદ્યાર્થી સંગઠનોનો તર્ક છે કે, જો પરીક્ષા પ્રણાલીમાં ગેરરીતિઓની નૈતિક જવાબદારી સ્વીકારીને કેન્દ્રીય શિક્ષણમંત્રીએ રાજીનામું આપ્યું હોય, તો જે-જે રાજ્યોમાં ભરતી કે શૈક્ષણિક પરીક્ષાઓમાં ગેરરીતિના આક્ષેપો થયા છે ત્યાંના રાજ્ય શિક્ષણ મંત્રીઓ સામે પણ સમાન જવાબદારી નક્કી થવી જોઈએ અને તેમણે પણ રાજીનામું આપવું જોઈએ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now