હસ્તરેખા વિજ્ઞાનમાં જીવન રેખાનું વિશેષ મહત્વ છે જે તર્જની આંગળી અને અંગૂઠાની વચ્ચેથી શરૂ થઈને હથેળીના નીચેના ભાગ સુધી વિસ્તરેલી હોય છે. સામુદ્રિક શાસ્ત્ર મુજબ આ રેખા વ્યક્તિના આરોગ્ય અને આયુષ્ય સાથે જોડાયેલા અનેક રહસ્યો ખોલે છે. સામાન્ય રીતે માનવામાં આવે છે કે જીવન રેખા જેટલી લાંબી, ઊંડી અને સ્પષ્ટ હોય તેટલું જ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે અને તે દીર્ઘાયુ પ્રાપ્ત કરે છે. જોકે આ રેખામાં જોવા મળતા વિવિધ ફેરફારો અલગ-અલગ સંકેતો આપે છે.
જો હથેળીમાં જીવન રેખા પર કોઈ ટાપુ (Island) જેવી આકૃતિ દેખાય અથવા તેમાંથી અનેક નાની શાખાઓ નીકળતી હોય તો તેને શુભ માનવામાં આવતી નથી. આવા જાતકોએ પોતાની તબિયત બાબતે હંમેશા સતર્ક રહેવું જોઈએ કારણ કે તે જીવનમાં આવનારી મુશ્કેલીઓનો નિર્દેશ કરે છે. આથી વિપરીત જો લાઈફ લાઈન એકદમ સ્પષ્ટ અને સળંગ હોય તો તે નિરોગી જીવનનું પ્રતીક છે.
સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જો જીવન રેખા કોઈ સ્થાનેથી વચ્ચેથી તૂટેલી હોય તો તે સાવધાન રહેવાનો સંકેત છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ જોખમી કાર્યો અને વાહન ચલાવતી વખતે વિશેષ સાવચેતી રાખવી અનિવાર્ય છે. જો કોઈની ડાબી હથેળીમાં રેખા તૂટેલી હોય પરંતુ જમણી હથેળીમાં તે જોડાયેલી હોય તો કુદરતી રીતે રોગો સામે રક્ષણ મળે છે અને આવનારા સંકટો ટળી શકે છે. પરંતુ જો બંને હાથમાં રેખા તૂટેલી જણાય તો જીવનશૈલીમાં અત્યંત કાળજી રાખવી જરૂરી બને છે.
જ્યારે લાઈફ લાઈન સાંકળ જેવી (Chain-like) દેખાતી હોય કે તેના પર અનેક કટી-ફટી રેખાઓ હોય ત્યારે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી રાખવી ભારે પડી શકે છે. રેખાના પ્રારંભમાં કે અંતમાં જો તે બે કે તેથી વધુ ભાગોમાં વિભાજિત થતી હોય તો પણ જાતકોને સાવધ રહેવાની સલાહ આપવામાં આવે છે. આમ હથેળીની રેખાઓ દ્વારા વ્યક્તિ પોતાના ભવિષ્યના શારીરિક કષ્ટ અને સ્વાસ્થ્ય વિશે અગાઉથી જાણી શકે છે.




















