IPL 2025 Closing Ceremony: IPL 2025 હવે તેના અંતિમ તબક્કામાં છે, જ્યાં તેની ફાઇનલ મેચ 3 જૂને રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી ફાઇનલ મેચ પહેલા એક સમાપન સમારોહનું આયોજન કરવામાં આવશે. BCCI એ આ અંગે એક મોટી જાહેરાત કરી છે, જ્યાં 'ઓપરેશન સિંદૂર' ને સેલિબ્રેટ કરવામાં આવશે અને સશસ્ત્ર દળોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. BCCI ના આ નિર્ણયથી દરેક ચાહક ખુશ થયા છે. બીજી બાજુ BCCIએ ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓને 3 જૂને અમદાવાદમાં યોજાનારી ફાઈનલ મેચ માટે આમંત્રણ આપ્યું છે.
BCCI સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે સમાપન સમારોહ સંપૂર્ણપણે સશસ્ત્ર દળોને સમર્પિત રહેશે. 3 જૂને સેના, નૌકાદળ, વાયુસેના અને સંરક્ષણ સ્ટાફના વડાઓને હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરવા માટે અમે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નેવી ચીફ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી અને એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ સહિત અન્ય સર્વિસ ચીફ્સ, અધિકારીઓ અને સૈનિકોને અમદાવાદમાં IPLની ફાઈનલ મેચ જોવા માટે આમંત્રણ આપ્યું છે.'
'BCCI સેનાને સલામ કરે છે'
'સ્પોર્ટસ્ટાર' સાથે વાત કરતાં તેમણે જણાવ્યું છે કે, 'BCCI આપણા સશસ્ત્ર દળોની બહાદુરી, હિંમત અને નિઃસ્વાર્થ સેવાને સલામ કરે છે, જેમના ઓપરેશન સિંદૂર હેઠળ વીરતાપૂર્ણ પ્રયાસ દેશની રક્ષા અને પ્રેરણા આપે છે. શ્રદ્ધાંજલિ તરીકે અમે સમાપન સમારોહ સશસ્ત્ર દળોને સમર્પિત કરવાનું નક્કી કર્યું છે.'
સતત આપવામાં આવી રહી છે સેનાને ટ્રિબ્યૂટ
'ઓપરેશન સિંદૂર' પછી IPL ફરી શરૂ થયા પછી ઘણી જગ્યાએ સેનાને ટ્રિબ્યૂટ આપવામાં આવી રહી છે. વાનખેડે સ્ટેડિયમમાં ચાહકોએ 'ભારત માતા કી જય' ના નારા લગાવ્યા અને મોટા સ્ક્રીન પર સેનાને આભાર સંદેશાઓ આપવામાં આવ્યા. આ ઉપરાંત ખેલાડીઓએ મેચ પહેલા રાષ્ટ્રગીત પણ ગાયું.
આ પહેલીવાર નથી જ્યારે IPLએ સેનાને સલામી આપી હોય. 2019 ની શરૂઆતમાં પુલવામા હુમલા પછી BCCI એ ઉદ્ઘાટન સમારોહમાં એક લશ્કરી બેન્ડનો સમાવેશ કર્યો હતો અને સશસ્ત્ર દળો માટે 20 કરોડ રૂપિયાની ગ્રાન્ટની જાહેરાત કરી હતી. ફાઇનલમાં એક લાખથી વધુ ચાહકો હાજર રહે તેવી અપેક્ષા છે, જેના કારણે IPL 2025નો સમાપન સમારોહ ચોક્કસપણે ભાવનાત્મક ક્ષણ બનવા જઈ રહ્યો છે.





















