લાહોરના વિસ્તારોને હિન્દુ-શીખ યુગના જૂના નામ આપવાનો નિર્ણય હાલ પૂરતો ટાળવામાં આવ્યો; સોશિયલ મીડિયા પર થયો હતો ભારે વિરોધ
પાકિસ્તાનના પંજાબ પ્રાંતની મરિયમ નવાઝ સરકારે લાહોરના રસ્તાઓ, ચોક અને ઐતિહાસિક વિસ્તારોના જૂના નામો ફરીથી સ્થાપિત કરવાનો પોતાનો પ્રસ્તાવ હાલ પૂરતો પડતો મૂક્યો છે. આ યોજના હેઠળ ભાગલા પહેલાના (Pre-partition) સમયના ઘણા હિન્દુ અને શીખ શાસનકાળના નામોને પુનઃજીવિત કરવાના હતા. પરંતુ કટ્ટરપંથી સંગઠનો અને સોશિયલ મીડિયા પર તીવ્ર વિરોધ શરૂ થતાં સરકારે વિવાદથી બચવા માટે આ પગલું પાછું ખેંચ્યું છે.
નવાઝ શરીફ અને મરિયમ નવાઝના ડ્રીમ પ્રોજેક્ટને લાગ્યો ઝટકો
16 March ના રોજ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની અધ્યક્ષતામાં 'લાહોર હેરિટેજ એરિયાઝ રિવાઇવલ' (LHAR) ની એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી, જેમાં પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝ પણ હાજર હતા. આ બેઠકમાં લાહોરની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખ પાછી લાવવા માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. મે મહિનામાં મરિયમ નવાઝની કેબિનેટે પણ આ પ્રસ્તાવ પાસ કર્યો હતો. નવાઝ શરીફનું માનવું હતું કે પાકિસ્તાને પણ યુરોપની જેમ પોતાના ઐતિહાસિક વારસા અને નામો સાથે છેડછાડ ન કરવી જોઈએ.
કટ્ટરપંથી તત્વોએ આપ્યો ધાર્મિક રંગ
પાકિસ્તાની અખબાર 'ડૉન' (Dawn) ના અહેવાલ મુજબ, આ નિર્ણયની જાહેરાત થતાં જ સોશિયલ મીડિયા વ્લોગર્સ અને કટ્ટરપંથીઓએ મરિયમ નવાઝ સરકાર પર હિન્દુ અને શીખ ઓળખને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવી વિરોધ પ્રદર્શન શરૂ કર્યા હતા. પ્રશાસનને ભય હતો કે આ મુદ્દો દેશમાં મોટો રાજકીય અને સામાજિક વિવાદ ઊભો કરી શકે છે. લાહોરના ડેપ્યુટી કમિશનર કેપ્ટન (નિવૃત્ત) મોહમ્મદ અલી એજાઝના જણાવ્યા અનુસાર, ભારે દબાણના કારણે હાલ આ મામલે કોઈ અંતિમ નિર્ણય લેવાશે નહીં.
નિષ્ણાતો જૂના નામોના પક્ષમાં, પણ સરકાર બેકફૂટ પર
વિરોધ વ્યાપક બન્યા બાદ LHAR દ્વારા દેશના જાણીતા ઇતિહાસકારો, આર્કિટેક્ટ્સ અને ટાઉન પ્લાનર્સની એક ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં નિષ્ણાતોએ સ્વીકાર્યું હતું કે લાહોરની અસલી ઓળખ તેના વર્ષો જૂના વારસામાં છે, અને તેને આવનારી પેઢી માટે બચાવવી જરૂરી છે. નિષ્ણાતો નામો બદલવાના પક્ષમાં હતા, પરંતુ કટ્ટરપંથીઓની આક્રમકતા સામે સરકાર બેકફૂટ પર આવી ગઈ છે.
૧૯૪૭ ના ભાગલા પછી પણ લોકોની યાદોમાં જીવંત છે ઇતિહાસ
૧૯૪૭ માં ભારત-પાકિસ્તાનના ભાગલા પછી પાકિસ્તાન સરકારે લાહોરના અનેક વિસ્તારોના નામ બદલીને મુસ્લિમ નામો રાખ્યા હતા. તેમ છતાં, લાહોરના સ્થાનિક લોકો આજે પણ રોજિંદી વાતચીતમાં બ્રિટિશ અને હિન્દુ સમયના જૂના નામોનો જ ઉપયોગ કરે છે. ઇતિહાસકારોના મતે, કરાચીની સરખામણીએ લાહોરમાં આવેલો શરણાર્થી વર્ગ શહેરની જૂની સામાજિક અને સાંસ્કૃતિક ઓળખ સાથે વધુ વણાયેલો રહ્યો છે, તેથી જ આ નામો આજે પણ ભૂંસાયા નથી.





