ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર જ નહીં, પણ બન્ને વચ્ચે માઇન્ડ ગેમ ચાલી રહી છે. જેમાં પાકિસ્તાન ભારતની ચાલ સમજે તે પહેલાં જ ભારત ગેમ બદલી રહ્યું છે. પહેલગામ હુમલા બાદ સ્ટ્રેટેજીને લઇને ભારતે પાકિસ્તાન સામે મહાભારત છેડી દીધું છે. પાકિસ્તાનની સેના ભારત ક્યારે હુમલો કરશે તે જોવા માટે બેઠી છે, અને બીજી બાજુ, ભારત ધીરગંભીર ઉભું છે. પાકિસ્તાનને ભારતની આ જ ખામોશી ધ્રુજાવી રહી છે. ગોળીની જેમ એક પછી એક મીટિંગો થઈ રહી છે. મોદીના એક પછી એક નિર્ણયથી પાકિસ્તાનની ઊંઘ ઉડી ગઈ છે - કોઈ ગોળી ચલાવવામાં આવી નથી, કોઈ ટેન્ક ચલાવવામાં આવી નથી - પરંતુ પાકિસ્તાનનો આત્મવિશ્વાસ તૂટી ગયો છે.
8 દિવસમાં પાકિસ્તાનની હાલત ટાઇટ!
વડાપ્રધાન મોદીએ એવી મનની રમત રમી કે આઠ દિવસમાં પાકિસ્તાનના નેતાઓ શરણાગતિ વિશે વાત કરવા લાગ્યા છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન પોતે હાથ જોડી રહ્યા છે કે "કોઈક રીતે યુદ્ધ ટાળી દેવામાં આવે અમે યુદ્ધ નથી ઇચ્છતાં" આ એ જ દેશ છે જે પરમાણુ હુમલાની બડાઈ મારતો હતો, હવે યુદ્ધમાંથી ભાગી જવાની ભીખ માગી રહ્યો છે. પહેલગામમાં હુમલો થતાં જ મોદી સાઉદી પ્રવાસ છોડીને પાછા ફર્યા. એરપોર્ટ પર જ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી. બીજી તરફ, શાહ કાશ્મીરમાં અધિકારીઓ સાથે વારંવાર બેઠકો કરી રહ્યા હતા. વાતાવરણ સ્પષ્ટ હતું - ભારત કંઈક મોટું કરવા જઈ રહ્યું છે. પાકિસ્તાન સમજી શક્યું નહીં કે આ ફક્ત જવાબ નહીં, પણ હિસાબ હશે.
ભારતની સ્ટ્રેટેજી જે પાકિસ્તાનને દાયકાઓ સુધી ડરાવશે!
મોદી સરકારે સિંધુ જળ સંધિ સ્થગિત કરી, વિઝા રદ કર્યા, પાકિસ્તાની નાગરિકોને દેશનિકાલ કરવાનો આદેશ આપ્યો, રાજદ્વારીઓને હાંકી કાઢ્યા. આ આઘાતથી પાકિસ્તાન સરકાર ચોંકી ગઈ. સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ પોતે TV પર બૂમો પાડી રહ્યા છે કે "ભારત બે-ત્રણ દિવસમાં હુમલો કરશે." ભારત તરફથી એક પણ શબ્દ આવ્યો નહીં, પરંતુ ડર એટલો બધો છે કે પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર ગાયબ થઈ ગયા છે - ખબર નથી કે જમીન તેને ગળી ગઈ છે કે આકાશ તેને ખાઈ ગયું છે!
સરકાર બચાવવા શાહબાઝ માગી રહ્યાં છે ભીખ!
પાકિસ્તાનના PM શેહબાઝ શરીફ ભારતને રોકવા માટે ભીખ માંગવા દોડી રહ્યા છે - ક્યારેક રશિયા, ક્યારેક UAE, તો ક્યારેક અમેરિકા. પીએમ મોદીએ ત્રણેય સેનાઓને છૂટ આપી દીધી, શેહબાઝે સંયુક્ત રાષ્ટ્રના વડાને ફોન કર્યો. UN પણ ગભરાઈ ગયું અને ભારતને ફોન કર્યો, પરંતુ જયશંકરે ઠંડા સ્વરે સ્પષ્ટતા કરી - "ભારત અટકવાનું નથી."
મધરાત્રે 2 વાગ્યે કરવી પડી પ્રેસ કોન્ફરન્સ!
પાકિસ્તાનના માહિતી મંત્રીએ રાત્રે 2 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરી અને ગભરાઈને કહ્યું, "ભારત આગામી 24-36 કલાકમાં હુમલો કરશે!" તે સ્પષ્ટ છે કે પાકિસ્તાન માત્ર શસ્ત્રોથી જ નહીં પરંતુ મોદીની રણનીતિથી પણ ઘૂંટણિયે પડી ગયું છે.





