મંગળવારે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ ભારતીયોની ક્રૂર હત્યા બાદ, ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ઘણા મોટા નિર્ણયોની જાહેરાત કરી. બુધવારે PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS)ની બેઠક યોજાઈ હતી.
આ બેઠક બાદ સિંધુ નદી જળ સંધિ રોકવા સહિત પાંચ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. ભારત દ્વારા આ કડક નિર્ણયોની જાહેરાત બાદ, પાકિસ્તાન સરકારે ગુરુવારે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (NSC)ની બેઠક બોલાવી. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ત્રણેય સેના પ્રમુખો પણ સામેલ થયા હતા.
NSCની બેઠક બાદ પાકિસ્તાો જવાબી નિર્ણય
વાઘા બોર્ડર બંધ કરવાની ભારતની જાહેરાતના જવાબમાં પાકિસ્તાને પણ વાઘા બોર્ડર બંધ કરવાની જાહેરાત કરી હતી. જ્યારે ભારતે પાકિસ્તાનને દેશ છોડવાની એડવાઈઝરી જારી કરી હતી ત્યારે પાકિસ્તાને પણ દેશમાં હાજર તમામ ભારતીયોને 30 એપ્રિલ સુધીમાં દેશ છોડી જવાનો આદેશ જારી કર્યો હતો.પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠકમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા. પાકિસ્તાને કહ્યું કે જો ભારત પાણી રોકશે તો તેને યુદ્ધ માનવામાં આવશે.
ભારતે પાકિસ્તાની નાગરિકો માટે વિઝા સેવાઓ તાત્કાલિક અસરથી સ્થગિત કરવાની જાહેરાત કરી છે. જવાબમાં, પાકિસ્તાને સાર્ક વિઝા યોજના હેઠળ ભારતીયોને આપવામાં આવેલા તમામ વિઝા રદ કરવાનો નિર્ણય કર્યો. પાકિસ્તાનમાં રહેલા તમામ ભારતીયોને 48 કલાકમાં દેશ છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
પાકિસ્તાને ભારત સાથેના તમામ દ્વિપક્ષીય કરારો પણ તાત્કાલિક અસરથી બંધ કરી દીધા છે
પાકિસ્તાને શિમલા સમજૂતી પણ અટકાવી દીધી
પાકિસ્તાને વાઘા બોર્ડર પણ બંધ કરી દીધી છે
પાકિસ્તાને એરસ્પેસ બંધ કરી દીધી છે
પાકિસ્તાને દેશમાં હાજર તમામ ભારતીયોને 30 એપ્રિલ સુધી દેશ છોડી દેવાનો આદેશ જારી કર્યો છે
'સિંધુનું પાણી 24 કરોડ પાકિસ્તાનીઓની જીવનરેખા છે'
પાકિસ્તાને પહેલગામ આતંકવાદી હુમલા બાદ સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના ભારતના નિર્ણયને નકારી કાઢતા કહ્યું કે તે 24 કરોડ પાકિસ્તાનીઓ માટે જીવનરેખા છે. ગભરાયેલા પાકિસ્તાને ભારત પર આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો. ભારતની કાર્યવાહીથી ડરીને પાકિસ્તાને કહ્યું કે પહેલગામ હુમલામાં તેની કોઈ ભૂમિકા નથી. પાકિસ્તાન પીએમઓ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતના નિર્ણયથી રાજકીય તણાવ વધશે અને આ ક્ષેત્રમાં શાંતિની સ્થાપનામાં અવરોધ આવશે.
પાકિસ્તાને કહ્યું કે સિંધુ જળ સંધિ એ વિશ્વ બેંક દ્વારા મધ્યસ્થી કરાયેલી આંતરરાષ્ટ્રીય સંધિ છે અને તેમાં એકપક્ષીય સસ્પેન્શનની કોઈ જોગવાઈ નથી. સિંધુ જળ સંધિને સ્થગિત કરવા પર, પાકિસ્તાને કહ્યું કે તે તેના 240 મિલિયન લોકોની જીવનરેખા છે અને તેની ઉપલબ્ધતાને કોઈપણ કિંમતે સુરક્ષિત કરવામાં આવશે.
પાકિસ્તાને કહ્યું છે કે તે આતંકવાદની નિંદા કરે છે. પાકિસ્તાને ભારત સાથેના તમામ વેપાર પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં ત્રીજા દેશો દ્વારા વેપાર પણ સામેલ છે. પાકિસ્તાનની સાર્વભૌમત્વ અને સુરક્ષા માટે કોઈપણ જોખમનો દરેક રીતે જોરદાર જવાબ આપવામાં આવશે.





