Pahalgam Terror Attack: પહેલગામ હુમલા બાદ સમગ્ર દેશમાં ગુસ્સો છે. સુરક્ષા બાબતોની સમિતિ (CCS) બુધવારે સવારે 11 વાગ્યે મળશે. આ બેઠકની અધ્યક્ષતા પીએમ કરશે. પહેલગામ હુમલા બાદ સીસીએસની આ બીજી બેઠક હશે. આ બેઠકમાં સુરક્ષાની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવશે. CCSની બેઠક બાદ PMની અધ્યક્ષતામાં CCPA (રાજકીય બાબતોની કેબિનેટ કમિટી)ની મહત્વપૂર્ણ બેઠક પણ યોજાશે.
પહેલગામ આતંકી હુમલા બાદ મંગળવારે ગૃહ મંત્રાલયમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG), બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને સશાસ્ત્ર સીમા દળ (SSB)ના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
કેન્દ્ર સરકારની કેબિનેટની બેઠક બુધવારે સવારે 11 વાગે મળશે. આ બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. પહેલગામ હુમલા બાદ કેબિનેટની આ પહેલી બેઠક છે. આ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. તેમની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર હતા.
ભારતે મંગળવારે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફનું એક્સ હેન્ડલ બ્લોક કરી દીધું છે. પહેલગામ હુમલા બાદ ખ્વાજા આસિફનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેણે સ્વીકાર્યું હતું કે પાકિસ્તાન લાંબા સમયથી આતંકવાદી સંગઠનોને ફંડિંગ કરી રહ્યું છે. ભારતે સોમવારે 17 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.
આજે ગુપ્તચર એજન્સીઓએ પહેલગામ હુમલાને લઈને મહત્વની માહિતી આપી હતી. ગુપ્તચર એજન્સીઓના સૂત્રોએ જણાવ્યું કે હુમલાનો માસ્ટરમાઈન્ડ પાકિસ્તાનના પૂર્વ એસએસજી કમાન્ડર હાશિમ મુસા છે. મુસા હાલ લશ્કર-એ-તૈયબા માટે કામ કરી રહ્યો છે.
લશ્કરે જ તેને જમ્મુ અને કાશ્મીર મોકલ્યો હતો જેથી તે સુરક્ષા દળો અને બિન-કાશ્મીરીઓ પર હુમલા કરી શકે. મુસાએ ઓક્ટોબર 2024માં ગાંદરબલના ગગનગીરમાં હુમલો કર્યો હતો. આમાં ઘણા શ્રમિકો અને એક સ્થાનિક ડોક્ટરનું મોત થયું હતુ.
હુમલાની તપાસ કરી રહેલી NIA સતત સીન રી-ક્રિએટ કરી રહી છે. એજન્સી આતંકવાદીઓને મદદ કરી રહેલા સ્થાનિક નાગરિકોને શોધી રહી છે. 22 એપ્રિલે પહેલગામની બૈસરન ઘાટીમાં થયેલા હુમલામાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા.






