Surat Crime: સુરતના SVNIT કોલેજના હોસ્ટેલમાં મોડી રાત્રે બનેલી દુર્ઘટનાએ કેમ્પસમાં શોક ફેલાવ્યો છે. ત્રીજા વર્ષના કમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થી અદ્વેત નાયરે હોસ્ટેલના બીજા માળેથી પડતું મૂકી આપઘાત કરી લેતા હાલ કેમ્પસમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. જોરથી પડવાનો અવાજ સાંભળતા જ વોચમેન અને વિદ્યાર્થીઓ દોડી આવ્યા અને તેને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ પહોંચાડ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
સુરતનાં જાણીતા SVNIT કોલેજના હોસ્ટેલમાં મોડી રાત્રે બનેલી દુઃખદ ઘટનાએ સમગ્ર કેમ્પસને શોકમાં મૂકી દીધું છે. ત્રીજા વર્ષના કમ્પ્યુટર સાયન્સ વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અદ્વેત નાયરે હોસ્ટેલની ઈમારતના બીજા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, મોડી રાત્રે જોરથી પડવાનો અવાજ સાંભળતાં જ હોસ્ટેલના વોચમેન અને વિદ્યાર્થીઓ બહાર દોડી આવ્યા હતા. તેમણે અદ્વેતને ભારે ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં પડેલો જોયો હતો. તરત જ હોસ્ટેલના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ તેને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પરંતુ ઈજાઓ ગંભીર હોવાથી ટૂંકી સારવાર દરમિયાન જ અદ્વેતનું મોત થયું હતું.
ઘટના બાદ કેટલાક વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે કોલેજ એમ્બ્યુલન્સ સમયસર ન પહોચી, જેના કારણે સારવારમાં વિલંબ થયો હતો. વિદ્યાર્થીઓએ એમ્બ્યુલન્સ સેવાઓ અને મેનેજમેન્ટની કામગીરી અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો. પરંતુ આ અંગે ભાભા ભવન હોસ્ટેલના ચીફ વોર્ડન અમિત સોલંકીએ વિવાદને પગલે પોતાનું રાજીનામું આપ્યું છે, જેને વહીવટી તંત્ર દ્વારા સ્વીકારવાની ખાતરી આપવામાં આવતા વિદ્યાર્થીઓએ તેમનો વિરોધ સમેટી લીધો છે.
જાણ થતાં જ ઉમરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પ્રાથમિક માહિતીના આધારે આપઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ હોસ્ટેલના સાથી વિદ્યાર્થીઓના નિવેદનો લઈ રહી છે અને કોઈપણ બાહ્ય દબાણ કે અન્ય કારણોની તપાસ પણ કરી રહી છે.





















