Mahant Swami Maharaj: હરિભક્તોના હિતમાં BAPS સંસ્થાએ મહત્વનો નિર્ણય લીધો છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની જન્મ જયંતિ પરંપરાગત રીતે તિથિ મુજબ 15મી સપ્ટેમ્બરે ઉજવાતી હતી, પરંતુ તે સમય ગાળો વરસાદી ઋતુમાં આવતા હરિભક્તોને મુસાફરી તથા ઉજવણીમાં હાજરી આપવા તકલીફ પડતી હતી.
આને ધ્યાને લઈ BAPSએ સંસ્થાકીય સ્તરેથી મહંત સ્વામી મહારાજની જન્મજયંતિ તેઓના પાર્ષદી દિક્ષા દિન – 2 ફેબ્રુઆરીએ ઉજવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિ 2 ફેબ્રુઆરી 2026ના રોજ વડોદરા જિલ્લાના અટલાદરામાં ધામધૂમથી ઉજવવામાં આવશે.
92મી જન્મજયંતીની ઉજવણી 2 ફેબ્રુઆરી 2026ના રોજ અટલાદરામાં થશે. આ આયોજન અનુસાર તેઓની આગામી 92મી જન્મ જયંતિ તા. 2-2-2026ના રોજ વડોદરાના અટલાદરા મુકામે ઉજવાશે. જયારે તા. 15-9-2025ના રોજ તેઓ મહેસાણા ખાતે બિરાજમાન હશે તો ત્યાં સ્થાનિક રીતે યોજાનાર કાર્યક્રમોમાં લાભ લેવા બહારગામના હરિભક્તોએ જવું નહીં તેમ સાધુ ઇશ્વરચરણદાસે જણાવ્યું છે. એટલું જ નહીં પરંતુ પરમ પૂજય સ્વામીની પ્રાતઃ પૂજાનું જીવંત પ્રસારણ થાય છે. તેના દર્શન કરી આપણે તેઓની જન્મ જયંતિની પારંપરિક તિથિએ ઘરે બેઠાં ગુરુવંદના કરીશું તેમ પણ જણાવ્યું છે.





















