નોઈડા સેક્ટર 150 માં બનેલી કાળજું કંપાવતી ઘટનાએ સમગ્ર દેશમાં વહીવટી બેદરકારી સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. ગાઢ ધુમ્મસ વચ્ચે ગુરુગ્રામથી ગ્રેટર નોઈડા જઈ રહેલા સોફ્ટવેર એન્જિનિયર યુવરાજ મહેતા અકસ્માતનો ભોગ બન્યા હતા. ધુમ્મસને કારણે દ્રષ્ટિ અસ્પષ્ટ થતાં તેમની કાર રસ્તાની બાજુની દિવાલ તોડી નિર્માણાધીન મોલના પાણીથી ભરેલા ભોંયરામાં ખાબકી ગઈ હતી.
યુવરાજ કારની છત પર ચઢીને લગભગ બે કલાક સુધી જીવ બચાવવા માટે સંઘર્ષ કરતો રહ્યો હતો. આ દરમિયાન તેણે સતત પોતાના પિતા રાજકુમાર મહેતાને ફોન કરીને "પપ્પા, હું ગટરમાં પડી ગયો છું. કૃપા કરીને મને બચાવો" કહી મદદ માગી. વૃદ્ધ પિતા ઘટનાસ્થળે પહોંચ્યા અને તમામ પ્રયાસો કર્યા, પરંતુ પૂરતા સાધનો અને તાલીમના અભાવને કારણે બચાવ શક્ય બન્યો નહીં. અંતે લગભગ 2:30 વાગ્યે યુવરાજના મોબાઇલની લાઈટ બંધ થઈ ગઈ અને તેનું મોત થયું હતું.
પરિવાર અને પ્રત્યક્ષદર્શીઓનો આરોપ છે કે બચાવ કામગીરીમાં ગંભીર વિલંબ અને બેદરકારી હતી. એક ડિલિવરી એજન્ટે દોરડું બાંધીને બચાવનો પ્રયાસ કર્યો, પરંતુ અધિકારીક ટીમ પાસે બોટ કે તાલીમપ્રાપ્ત સ્ટાફ ન હતો. સ્થાનિક લોકોએ અગાઉથી આ ખાડા અંગે ફરિયાદો કરી હોવા છતાં કોઈ પગલાં લેવાયા ન હતા.
આ ઘટનાને લઈને નોઈડા ઓથોરિટીએ કાર્યવાહી કરતાં એક જુનિયર એન્જિનિયરને નોકરીમાંથી કાઢી મૂક્યો છે અને ટ્રાફિક અધિકારીઓને કારણદર્શક નોટિસ આપી છે. પોલીસ દ્વારા બે રિયલ એસ્ટેટ ડેવલપર્સ સામે એફઆઈઆર નોંધાઈ છે. યુવરાજના મોતે સિસ્ટમની નિષ્ફળતા અને વહીવટી બેદરકારીને ફરી એકવાર ઉજાગર કરી છે.





















