Cashless Treatment Scheme: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે કેશલેસ સારવારની જાહેરાત કરી છે. ગડકરીએ કહ્યું કે, અકસ્માતના 24 કલાકમાં પોલીસને જાણ કરવી પડશે. આ યોજના સાત દિવસ સુધી અથવા વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધીના તબીબી ખર્ચને આવરી લેશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, હિટ એન્ડ રન કેસમાં મૃત્યુના કિસ્સામાં પરિવારને 2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. સરકારે આસામ, હરિયાણા, પંજાબ, ચંદીગઢ અને પુડુચેરીમાં આ યોજનાનો પ્રયોગ કર્યો હતો. મળતી માહિતી મુજબ સરકાર મોટર વ્હીકલ એમેન્ડમેન્ટ એક્ટને સંસદના આગામી સત્રમાં રજૂ કરશે, ત્યારબાદ માર્ચથી તેને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, વર્ષ 2024માં 1 લાખ 80 હજાર લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. જ્યારે હેલ્મેટ ન પહેરવાના કારણે 32 હજાર લોકોના મોત થયા છે. 60 ટકા અકસ્માતો 18 થી 34 વર્ષની વયજૂથમાં થયા છે. તેમજ એક્ઝિટ-એન્ટ્રી પોઈન્ટ પર કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે 10 હજાર મૃત્યુ માત્ર શાળા અને કોલેજોની સામે જ થયા છે.
અકસ્માતોને રોકવા માટે સરકાર આ પગલાં લેશે
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, મંગળવારે રોડ સેફ્ટી પર એક મોટી બેઠક યોજાઈ હતી. જેમાં સુરક્ષાના ઉપાયો પર વધુ ભાર આપવામાં આવ્યો છે. બેઠકમાં માર્ગ અકસ્માતો અટકાવવા યોગ્ય પગલાં લેવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ગડકરીએ કહ્યું કે, સરકાર કોમર્શિયલ વાહનોમાં અકસ્માતોને રોકવા માટે ત્રણ સલામતીના પગલાં લેવા માટે કામ કરશે. આમાં ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, ઈમરજન્સી બ્રેકિંગ સિસ્ટમ અને જો ડ્રાઈવર ઊંઘી જાય તો ઓડિયો એલર્ટ મિકેનિઝમનો સમાવેશ થાય છે. મંત્રીએ કહ્યું કે, આ સૂચનો ક્રાંતિકારી છે. ટ્રક અને બસમાં પણ આવું થશે.
નીતિન ગડકરીએ કહ્યું કે, સરકાર ડ્રાઇવરો માટે કામના કલાકો વધારવાના વિકલ્પો પર પણ વિચાર કરી રહી છે. તેમણે કહ્યું કે, વાહન લોકેશન ટ્રેકિંગ ડિવાઇસ અને આધાર આધારિત સિસ્ટમ દ્વારા ડ્યુટી ટાઇમ પર દેખરેખ રાખવાના વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ સાથે સરકાર ઈ-રિક્ષા માટે સેફ્ટી રેટિંગ શરૂ કરવાની પણ યોજના બનાવી રહી છે.






