મહાકુંભના મહાઅવસર પર જ હિન્દુઓને મોટી ખુશખબરી મળી છે. ભારત અને ચીન વચ્ચે કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થઈ છે. ભારતના વિદેશ મંત્રાલયે આ અંગે આધિકારીક જાણકારી આપવામાં આવી છે. વિદેશ સચિવ વિક્રમ મિસરી બે દિવસ 26 અને 27 જાન્યુઆરી ચીનના પ્રવાસે ગયા હતા. ભારતના વિદેશ સચિવની ચીનના વિદેશ સચિવ અને ચીનના ડેપ્યુટી વિદેશમંત્રી સાથે મુલાકાત થઈ હતી. વિદેશ પ્રવાસથી પરત આવ્યા બાદ તેમણે કરોડો ભારતીયોને ખુશખબરી આપી છે. વર્ષ 2025ના ઉનાળામાં કૈલાશ માનસરોવર યાત્રા શરૂ કરવામાં આવશે તેવી જાણકારી આપવામાં આવી છે.
2020 બાદ હવે યાત્રા શરૂ થશે
વિદેશ સચિવ વિક્રમ મિસરી અને ચીનના નાયબ વિદેશમંત્રી વાંગ યી વચ્ચેની બેઠકમાં કૈલાશ માનસરોવરની યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2020માં કોરોનાકાળમાં કૈલાશ માન સરોવરની યાત્રા સ્થગિત રાખવામાં આવી હતી, બંને દેશ વચ્ચે ડોકલામ વિવાદના કારણે પણ સબંધો વણસ્યા હતા.
રશિયામાં મુલાકાત રંગ લાવી
ઓકટોબર-2024માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયામાં આયોજિત બ્રિક્સ સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત થઈ હતી. તે મુલાકાત દરમિયાન બંને દેશ વચ્ચેના સબંધો સુધારવા મુદ્દે કેટલીક ચર્ચાઓ થઈ હતી, અને કેટલાક પગલા લેવા માટે બંને દેશ સહમત થયા હતા. આ અગાઉ ભારત-ચીન સરહદ પર ડેમચૂક અને ડેપસાંગ વિસ્તારમાંથી બંને દેશની સેના પરત લેવાનો નિર્ણય કરાયો હતો, હવે કૈલાશ માનસરોવરની યાત્રા ફરી શરૂ થવા જઈ રહી છે.
ભારત-ચીન વચ્ચે સીધી ફલાઈટ
બંને દેશ વચ્ચે સીધી ફલાઈટ શરૂ થવા મુદ્દે પણ સહમતિ સધાઈ છે. ભારત અને ચીન વચ્ચે ટૂંક સમયમાં ફલાઈટ સેવા શરૂ કરવામાં આવશે. કોરોનાકાળ પહેલા ભારત અને ચીન વચ્ચે દર મહિનાની 500થી વધુ ફલાઈટ્સ હતી. ફલાઈટ સેવા બંધ થવાના કારણે બંને દેશના મુસાફરોને બાંગ્લાદેશ, હોંગકોંગ, થાઈલેન્ડ અને સિંગાપોર જેવી કનેક્ટિંગ ફલાઈટ લેવી પડતી હતી.
કૈલાશ માન સરોવરની યાત્રાનું સવિશેષ મહત્વ
હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે કૈલાશ પર્વત ભગવાન શિવનું નિવાસસ્થાન છે. ભગવાન શિવ, માતા પાર્વતી અને તેમનો પરિવાર કૈલાશમાં રહેતા હોય તેવી માન્યતા. આ જ કારણથી કૈલાશ માનસરોવર હિન્દુઓના પવિત્ર તીર્થસ્થાનોમાંથી એક છે.





