નવી દિલ્લી રેલવે સ્ટેશન પર ભાગદોડમાં નવ મહિલાઓ, ચાર પુરુષો અને પાંચ બાળકો સહિત ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે અને કેટલાકની હાલત ગંભીર પણ છે. આ દરમિયાન, ઘટના સમયે રેલવે સ્ટેશન પર હાજર કુલિયાઓએ આ ઘટનાને હૃદયસ્પર્શી અને હચમચાવતી ગણાવી અને કહ્યું હતું કે અફરાતફરી વચ્ચે મૃતદેહોને હાથગાડીમાં લઈ જવામાં આવ્યા.
ભાગદોડના સમયે નવી દિલ્લી સ્ટેશન પર હાજર કુલીએ મીડિયાને જણાવ્યું કે પ્રયાગરાજ જતી ટ્રેન આવી ત્યારે ભીડ વધી ગઈ હતી. તેમણે દાવો કર્યો હતો કે ફૂટ ઓવરબ્રિજ પર ભારે ભીડ થઈ ગઈ હતી, જેના કારણે ઘણા લોકોને ગૂંગળામણ થઈ હતી.
ભોગબનનારને વળતર
મૃતકોમાં 9 બિહારના, 8 દિલ્લીના અને એક હરિયાણાના છે. સરકારે પીડિતો માટે વળતરની પણ જાહેરાત કરી છે. સ્ટેશન પર હાજર લોકોએ કહ્યું કે આ ઘટના રાત્રે 8.00 થી 8.30 વાગ્યાની વચ્ચે બની હતી. રેલવે વહીવટી તંત્ર દ્વારા ટ્રેનના પ્લેટફોર્મ બદલવાની જાહેરાત કરવામાં આવી હતી. તેના કારણે લોકો એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર દોડવા લાગ્યા અને ભાગદોડ મચી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે મોટી સંખ્યામાં લોકો પાસે જનરલ ટિકિટ હતી.
હોસ્પિટલ પહોંચ્યા હતા લોકો
ઘટનાની જાણ થતાં મુખ્ય સચિવ ધર્મેન્દ્ર સિંહ, LG વીકે સક્સેના, ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવા અને અન્ય લોકો ઈજાગ્રસ્તોને મળવા અને વ્યવસ્થાઓની સમીક્ષા કરવા માટે લોક નાયક હોસ્પિટલ પહોંચ્યા હતા. કાર્યવાહક મુખ્યમંત્રી આતિશીએ પણ ઘાયલોને મળવા માટે લોક નાયક હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ભાજપના ધારાસભ્ય રેખા ગુપ્તા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આલે મોહમ્મદ ઈકબાલ પણ લોક નાયક હોસ્પિટલ પહોંચ્યા હતા.





