Neet Re-exam: દેશભરમાં NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈને વિદ્યાર્થીઓ પર વધતા માનસિક દબાણ અંગે ગંભીર ચર્ચા ચાલી રહી છે. રાજસ્થાન, ગુજરાત, તમિલનાડુ અને અન્ય રાજ્યોમાંથી NEETની તૈયારી કરતા કેટલાક વિદ્યાર્થીઓના કરુણ નિધનના બનાવો સામે આવ્યા બાદ ફરી એકવાર પરીક્ષાકીય તણાવ અને યુવાનોના માનસિક સ્વાસ્થ્યનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. આવા સંજોગોમાં ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં 22 વર્ષીય NEET ઉમેદવારે જીવન ટુંકાવી લેતાં પરિવાર અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. NEET પરીક્ષા 21 જૂને યોજાવાની છે, જ્યારે ગાઝિયાબાદમાં 22 વર્ષીય વિદ્યાર્થીએ શુક્રવારે આત્મધાતી પગલું ભરતા પહેલા, વિદ્યાર્થીએ એક મિનિટ અને ચાર સેકન્ડનો વીડિયો શૂટ કર્યો હતો, જેમાં તેણે દાવો કર્યો હતો કે તે કોઈ દબાણ હેઠળ નથી. જોકે, તેણે પોતાને થોડો હતાશ પણ ગણાવ્યો હતો. પોલીસે તેના મોબાઇલ ફોનમાંથી વીડિયો કબજે કર્યો છે અને તપાસ શરૂ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારના H-બ્લોકમાં રહેતા જતીન કુમાર NEET પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. તે 21 જૂને પરીક્ષા આપવાના પણ હતા. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, તે ગુરુવારે રાત્રે લગભગ 12 વાગ્યા સુધી તેના રૂમમાં ફરતો જોવા મળ્યો હતો. બીજા દિવસે સવારે જ્યારે પરિવારના સભ્યો તેને જગાડવા ગયા ત્યારે તે મૃત હાલતમાં મળી આવ્યો. માહિતી મળતાં, વિજયનગર પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી. પંખા સાથે બાંધેલો ફાંસો તૂટેલો અને તેનો મૃતદેહ ફ્લોર પર પડેલો જોવા મળ્યો.
"હું આજે કંઈક અલગ કરવાનું વિચારી રહ્યો હતો."
તપાસ દરમિયાન, પોલીસને વિદ્યાર્થીના મોબાઇલ ફોન પર એક વીડિયો મળ્યો, જે તેણે આત્મહત્યા કરતા પહેલા રેકોર્ડ કર્યો હતો. વીડિયોમાં, જતિને તેના સ્ટડી રૂમમાંથી એક દ્રશ્ય બતાવ્યું અને કહ્યું કે તે "આજે કંઈક અલગ કરવાનું" વિચારી રહ્યો છે. તેણે પંખા પર લટકતો ફાંસો પણ બતાવ્યો. વીડિયોમાં, તેણે કહ્યું કે તે કોઈ દબાણમાં નથી અને NEET પરીક્ષાને લઈને તેને કોઈ તણાવ નથી. તેણે એમ પણ કહ્યું કે તેના પિતાએ તેને પરીક્ષા અંગે તણાવ ન લેવાની સલાહ આપી હતી. VIDEOમાં, વિદ્યાર્થીએ કહ્યું કે, તે પરીક્ષા પાસ કરવાનો પ્રયાસ કરવા માંગે છે અને જો તે સફળ થશે, તો લોકો વીડિયો જોશે. ત્યારબાદ તેણે પોતાનું નિવેદન પૂર્ણ કર્યું. પોલીસ હવે વીડિયોની સત્યતા અને તેની પાછળના સંજોગોની તપાસ કરી રહી છે, અને વીડિયોને તપાસમાં સામેલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: NEET Re-Exam પહેલાં NTAની મોટી ચૂક? : નાગપુરના વિદ્યાર્થીને અબુ ધાબીનું પરીક્ષા કેન્દ્ર ફાળવાતા હડકંપ
પરિવારમાં એકમાત્ર પુત્ર હતો જતિન
જતીન તેના પરિવારનો એકમાત્ર પુત્ર હતો. તેના પિતા સરકારી વિભાગમાં કામ કરે છે, જ્યારે તેની માતા ગૃહિણી છે. તેની નાની બહેન ઇન્ટરમીડિયેટની વિદ્યાર્થીની છે. આ ઘટનાથી પરિવારમાં હોબાળો મચી ગયો છે. પરિવારે આ બાબતે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. આ ઘટના અંગે મીડિયા સાથે વાત કરતા ACP ઉપાસના પાંડેએ જણાવ્યું હતું કે, યુવાન દ્વારા આત્મહત્યા કરતા પહેલા રેકોર્ડ કરાયેલો વીડિયો મળી આવ્યો છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. કેસના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે અને જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે. વિસ્તારમાં શાંતિ અને કાયદો અને વ્યવસ્થા સામાન્ય છે.
પરીક્ષાના દબાણ અને માનસિક સ્વાસ્થ્ય પર ફરી ચર્ચા
આ ઘટના એવા સમયે સામે આવી છે, જ્યારે NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈને વિદ્યાર્થીઓમાં વધતા દબાણ અને માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. શૈક્ષણિક નિષ્ણાતોનું માનવું છે કે, પરીક્ષામાં સફળતા મહત્વપૂર્ણ છે, પરંતુ વિદ્યાર્થીઓના માનસિક સંતુલન અને ભાવનાત્મક સ્વાસ્થ્યને પણ એટલું જ મહત્વ આપવાની જરૂર છે. પરિવાર, શિક્ષકો અને સમાજે મળીને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને ભાવનાત્મક સહારો આપવો જરૂરી બની ગયો છે.
છેલ્લા દિવસોમાં આવી અનેક ઘટનાઓ સામે આવી
(1) રાજસ્થાનના અલવરની રેણુ મીના (18) નામની વિદ્યાર્થીની દિલ્હીમાં NEET પરીક્ષાની તૈયારી કરી રહી હતી. તે તેના ભાઈ-બહેનો સાથે રહેતી હતી. તેણે 14 જૂને દિલ્હીમાં ફાંસી લગાવીને જીવન ટુંકાવી લીધું હતું. . એવું કહેવાય છે કે, 14 જૂને ભાઈ-બહેનો લાઇબ્રેરીમાં અભ્યાસ કરવા ગયા હતા. સાંજે પાછા ફર્યા ત્યારે રેણુ તેના રૂમમાં ગઈ. થોડી વાર પછી, જ્યારે ભાઈ-બહેનોએ રેણુને ચા માટે બોલાવી, ત્યારે કોઈ જવાબ મળ્યો નહીં. શંકાસ્પદ થઈને, તેઓએ દરવાજો ખોલ્યો અને રેણુનો મૃતદેહ વેન્ટિલેટરમાં લટકતો જોવા મળ્યો હતો.
(2) રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લાના નવલગઢના કારીના રહેવાસી ઉમેશ માલીએ પણ આમ જ જીવન ટુંકાવી લીધું હતું. તે તેની મોટી બહેન, નાના ભાઈ અને માતા સાથે સીકરના ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફ્લેટમાં રહેતો હતો, ત્યારે તે NEETની તૈયારી પણ કરી રહ્યો હતો. આ ઉમેશનો ત્રીજો પ્રયાસ હતો અને તે 21 જૂને પરીક્ષા આપવાનો હતો.
(3) 18 જૂનના રોજ, અમદાવાદમાં એક 17 વર્ષના વિદ્યાર્થીએ પણ આત્મહત્યા કરી હતી. તે NEET પુનઃપરીક્ષાના ત્રણ દિવસ પહેલા જ રહેણાંક મકાનના છઠ્ઠા માળેથી કૂદી પડ્યો હતો. અમદાવાદ પોલીસ ઝોન ૨ ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુરુવારે વહેલી સવારે કંટ્રોલ રૂમને ન્યૂ રાણીપ વિસ્તારમાં એક સોસાયટી સંકુલમાં લોહીથી લથપથ એક છોકરાનો રિપોર્ટ મળ્યો હતો.
(4) કોઈમ્બતુરની રહેવાસી 19 વર્ષીય અનુકિર્તનાએ જીવન ટુંકાવી લીધું હતું. તેણીએ અગાઉ બે વાર NEET પરીક્ષા આપી હતી. પેપર લીક અને રદ થયા પછી, તે ફરીથી પરીક્ષા આપવાની તૈયારી કરી રહી હતી. પોલીસનું કહેવું છે કે, તે પરીક્ષાનું દબાણ સહન ન કરી શકી અને મૃત્યુને ભેટી પડી હશે.
(5) ઇન્દોરમાં NEET ની વિદ્યાર્થીની અવંતિકા મૌર્યનું પણ મૃત્યુ થયું. તે ધાર જિલ્લાની રહેવાસી હતી અને NEET ની તૈયારી માટે ઇન્દોરમાં તેની બહેન સાથે રહેતી હતી. તે તેના મોબાઇલ ફોન પર વાત કરતી વખતે ત્રીજા માળેથી પડી ગઈ. પોલીસ હાલમાં તપાસ કરી રહી છે કે, તે આત્મહત્યા હતી કે અકસ્માત.
(નોંધ: જો તમે અથવા તમારી ઓળખમાં કોઈ વ્યક્તિ ભાવનાત્મક તણાવ, નિરાશા અથવા માનસિક સંઘર્ષનો સામનો કરી રહી હોય, તો પરિવારજનો, મિત્ર, કાઉન્સેલર અથવા માનસિક આરોગ્ય નિષ્ણાતનો સંપર્ક કરવો મહત્વપૂર્ણ છે. સમયસર મળતી મદદ જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે.)





