રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા (NEET-2026) આપવા જઈ રહેલા હજારો વિદ્યાર્થીઓ માટે પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષાર્થીઓની સુવિધા અને પરીક્ષાના દિવસે થતી વધારાની ભીડને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ વિશેષ ભાડા પર પાંચ જોડી સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેનો વિદ્યાર્થીઓને તેમના પરીક્ષા કેન્દ્રો સુધી સરળતાથી પહોંચવામાં મદદરૂપ થશે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી દ્ધારા આપેલી માહિતી મુજબ, આ તમામ સ્પેશિયલ ટ્રેનો માટેનું એડવાન્સ બુકિંગ આજ થી એટલે કે, 19 જૂન, 2026 થી શરૂ થઈ જશે. વિદ્યાર્થીઓ અને વાલીઓ નિર્ધારિત ટ્રેનો માટે તમામ પીઆરએસ (PRS) કાઉન્ટર તેમજ આઈઆરસીટીસી (IRCTC) ની અધિકૃત વેબસાઈટ પરથી ટિકિટ બુક કરાવી શકશે.
બાંદ્રા ટર્મિનસ - ડો. આંબેડકર નગર (09351/09352): 20 જૂને બાંદ્રાથી સાંજે 6:20 કલાકે ઉપડશે. આ ટ્રેન વાપી, સુરત, વલસાડ, ભરૂચ, ગોધરા, રતલામ અને ઉજ્જૈન જેવા મુખ્ય સ્ટેશનો પર રોકાશે.
બાંદ્રા ટર્મિનસ - મણિનગર (09471/09472): 20 જૂને બાંદ્રાથી રાત્રે 9:15 કલાકે ઉપડશે, જે વાપી, સુરત, ભરૂચ અને આણંદ થઈને મણિનગર પહોંચશે.
ઓખા - ગાંધીનગર કેપિટલ (09554/09553): 20 જૂને સવારે 5:00 કલાકે ઓખાથી ઉપડશે અને જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર થઈને ગાંધીનગર પહોંચશે.
ભાવનગર - ગાંધીગ્રામ (09254/09253): 20 જૂને સવારે 11:40 કલાકે ભાવનગરથી ઉપડીને બોટાદ, ધંધુકા અને સાણંદ થઈને ગાંધીગ્રામ પહોંચશે.
ઈન્દોર - ભોપાલ - રતલામ (09354/09353): 20 જૂને સવારે 11:25 કલાકે ઈન્દોરથી ઉપડી ભોપાલ જશે અને ત્યાંથી રાત્રે 7:40 કલાકે રતલામ જવા રવાના થશે.
મુસાફરોએ 3થી 4 વખત ડ્રાઈવરને ચેતવ્યો : છતાં સ્પીડમાં બસ દોડાવતા જસદણ નજીક પલટી મારી; 11 મુસાફરો ઈજાગ્રસ્ત
આ તમામ ટ્રેનોમાં સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચની વ્યવસ્થા રાખવામાં આવી છે. રેલવે તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને સમયસર સ્ટેશન પહોંચી જવા અને ટિકિટનું બુકિંગ વહેલી તકે કરી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ગુજરાત અને આસપાસના વિસ્તારોના વિદ્યાર્થીઓને પરીક્ષાના દિવસે મોટી રાહત મળશે તેવી આશા છે.






