રાજ્યસભાની 37 બેઠકો માટે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીએ સંસદના ઉપલા ગૃહનું ચિત્ર બદલી નાખ્યું છે. આ ચૂંટણી બાદ NDAએ માત્ર નિર્ણાયક સરસાઈ જ મેળવી નથી, પરંતુ હવે ગૃહમાં તેની બહુમતી પણ સુનિશ્ચિત થઈ ગઈ છે – એક એવો વળાંક, જે આગામી સંસદીય સત્રોમાં સત્તાધારી પક્ષને સ્પષ્ટ લીડ આપતો દેખાઈ રહ્યો છે.
કેવી રીતે મળી સરસાઈ?
37 બેઠકોમાંથી 11 બેઠકો પર મતદાન થયું હતું, જેમાં NDAએ 9 બેઠકો પર જીત નોંધાવી છે. બીજી તરફ, બાકીની 26 બેઠકો પર બિનહરીફ ચૂંટણી થઈ હતી, જ્યાં NDAને 13 બેઠકો મળી હતી. આમ, કુલ 37માંથી 22 બેઠકો NDAના ફાળે ગઈ છે, જ્યારે વિપક્ષ 15 બેઠકો પર સમેટાઈ ગયો છે. ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ ખાસ પ્રદર્શન કર્યું – બિહાર અને ઓડિશામાં એક-એક વધારાની બેઠક મેળવી, જ્યારે હરિયાણામાં રસાકસી બાદ પણ એક બેઠક જીતીને સમીકરણો પોતાના પક્ષમાં કરી લીધા.
શું છે રાજ્યસભાનું પૂરું ગણિત?
રાજ્યસભાની કુલ પ્રભાવી સંખ્યા 250 છે અને બહુમતીનો આંકડો 126 બેઠકોનો છે. તાજી સ્થિતિ મુજબ, NDA 135 થી વધીને 141 બેઠકો પર પહોંચી ગયું છે – એટલે કે બહુમતીના આંકડાથી ઘણું આગળ. NDAમાં સૌથી મોટી તાકાત ભારતીય જનતા પાર્ટી છે, જેની પાસે એકલી 106 બેઠકો છે. પરંતુ સાચી મજબૂતી સહયોગી પક્ષોના વ્યાપક ફેલાવાને કારણે મળી રહી છે.
કયા પક્ષના કેટલા સભ્યો:
પક્ષ | બેઠકો |
AIADMK | 5 |
જનતા દળ (યુનાઈટેડ) | 4 |
નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) | 4 |
તેલુગુ દેશમ પાર્ટી (TDP) | 2 |
શિવસેના | 2 |
યુનાઈટેડ પીપુલ્સ પાર્ટી, લિબરલ | 2 |
રાષ્ટ્રીય લોકદળ (RLD) | 1 |
જનતા દળ (સેક્યુલર) | 1 |
અસમ ગણ પરિષદ | 1 |
PMK | 1 |
મિઝો નેશનલ ફ્રન્ટ | 1 |
નેશનલ પીપુલ્સ પાર્ટી | 1 |
રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (અઠાવલે) | 1 |
રાષ્ટ્રીય લોક મોરચા | 1 |
અપક્ષ (કાર્તિકેય શર્મા) | 1 |
આ ઉપરાંત 7 નિયુક્ત (Nominated) સભ્યો છે, જે કુલ સંખ્યાને વધુ મજબૂતી આપે છે.
વિપક્ષની સ્થિતિ
બીજી તરફ, INDIA ગઠબંધનની તાકાત 62 થી ઘટીને 58 બેઠકો પર આવી ગઈ છે. જોકે, કોંગ્રેસ 29 બેઠકો સાથે હજુ પણ વિપક્ષની ધરી બનેલી છે અને તેની પાસે વિપક્ષી નેતાનું પદ જળવાઈ રહેશે. અન્ય પક્ષોની સ્થિતિ પણ થોડી નબળી પડી છે – જે 47 થી ઘટીને 45 બેઠકો રહી ગઈ છે.
શું છે આના રાજકીય અર્થ?
અત્યાર સુધી રાજ્યસભા સરકાર માટે ‘કઠિન ગૃહ’ માનવામાં આવતું હતું, જ્યાં વિપક્ષ ઘણીવાર મહત્વના ખરડાઓને અટકાવી દેતો હતો. પરંતુ નવા આંકડા એક અલગ વાર્તા કહી રહ્યા છે – હવે સરકાર પાસે માત્ર બહુમતી જ નથી, પરંતુ સહયોગી પક્ષો સાથે એક સ્થિર અને સુરક્ષિત સંખ્યાબળ પણ છે. આની સીધી અસર આગામી મોનસૂન સત્રમાં જોવા મળી શકે છે, જ્યાં સરકાર માટે મહત્વના બિલો પસાર કરાવવા પહેલા કરતા ઘણા સરળ રહેશે.




















