Navsari News: ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના સરીખુરદ ગામમાં પૂરનું પાણી ફરી વળતાં અનેક લોકો ફસાયા હોવાની માહિતી મળતા નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની 6મી બટાલિયનની ટીમે તાત્કાલિક બચાવ અભિયાન શરૂ કર્યું હતું. અમલસાદ પહોંચી ટીમે ફાસ્ટ વોટર રેસ્ક્યુ (FWR) ઓપરેશન હાથ ધરી અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાની કામગીરી શરૂ કરી હતી. પૂરના પાણી વચ્ચે NDRFના જવાનોએ બોટ અને વિશેષ બચાવ સાધનોની મદદથી સતત કલાકો સુધી કામગીરી કરી હતી. ટીમે પાણીમાં ફસાયેલા લોકો સુધી પહોંચીને તેમને સલામત સ્થળોએ ખસેડ્યા હતા. સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ અને અન્ય બચાવ એજન્સીઓ સાથે સંકલન કરીને સમગ્ર અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
120 લોકોનું સફળ રેસ્ક્યુ
NDRF દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર બચાવ અભિયાન દરમિયાન કુલ 120 લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. તેમાં 45 મહિલાઓ, 35 પુરુષો અને 40 બાળકોનો સમાવેશ થાય છે. બચાવ કામગીરી દરમિયાન બાળકો, વૃદ્ધો અને મહિલાઓને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી હતી. જવાનો દ્વારા પાણીના તેજ પ્રવાહ વચ્ચે પણ જોખમ ઉઠાવી અસરગ્રસ્ત પરિવારો સુધી પહોંચી તેમને સલામત સ્થળે લાવવામાં આવ્યા હતા. અનેક લોકો લાંબા સમય સુધી પોતાના ઘરોમાં ફસાયેલા હતા, જેમને બોટ મારફતે બહાર કાઢવામાં આવ્યા હતા.
43 લોકોનું સ્થળાંતર
રેસ્ક્યુ ઉપરાંત NDRFની ટીમે જોખમગ્રસ્ત વિસ્તારોમાંથી કુલ 43 લોકોનું સ્થળાંતર પણ કર્યું હતું. તેમાં 14 મહિલાઓ, 15 પુરુષો અને 14 બાળકોનો સમાવેશ થાય છે. સ્થળાંતર કરાયેલા લોકોને વહીવટી તંત્ર દ્વારા નિર્ધારિત સુરક્ષિત સ્થળો અને રાહત કેમ્પોમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં રહેવા, ભોજન અને આરોગ્ય સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, જ્યાં હજુ પણ પાણી ભરાયેલા વિસ્તારો છે ત્યાં સતત પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જો જરૂર પડશે તો વધારાની બચાવ ટીમો પણ તૈનાત કરવામાં આવશે.
બે મૃતદેહ મળી આવ્યા
રેસ્ક્યુ કામગીરી દરમિયાન NDRFની ટીમને બે મૃતદેહ પણ મળ્યા હતા. મૃતકોની ઓળખ 70 વર્ષીય સવિતાબેન કરણભાઈ હલપદી અને 65 વર્ષીય હરીશભાઈ નરેશભાઈ સોલંકી તરીકે થઈ છે. બંને મૃતદેહોને બહાર કાઢીને સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. અધિકારીઓ સમગ્ર ઘટનાના સંજોગોની તપાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો: મોરબી: મચ્છુ-3 ડેમ 100% ભરાતા દરવાજા ખોલાયા : મોરબી-માળિયાના 21 ગામોને એલર્ટ જારી
NDRF અને તંત્ર સતત એલર્ટ
દક્ષિણ ગુજરાતમાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને NDRF, SDRF, જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક બચાવ ટીમો સતત એલર્ટ મોડમાં છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી સંવેદનશીલ ગામોમાં સતત નજર રાખવામાં આવી રહી છે. તંત્રે નાગરિકોને નદી, ખાડી અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવા, માત્ર અધિકૃત સૂચનાઓનું પાલન કરવા અને કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક ઇમરજન્સી સેવાઓનો સંપર્ક કરવાની અપીલ કરી છે.





