રાજગઢ: ભારતમાં શક્તિ ઉપાસનાના અનેક ધામો આવેલા છે, પરંતુ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના ભેસવા ગામમાં આવેલું ભેસવા માતાનું શક્તિપીઠ પોતાની અનોખી માન્યતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે અહીં શ્રદ્ધાળુઓનું કીડીયારું ઉભરાય છે. આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે, અહીં નિઃસંતાન દંપતીઓ સંતાન પ્રાપ્તિની મનોકામના સાથે મંદિરની દીવાલ પર 'ઊંધો સાથિયો' બનાવે છે. લોકવાયકા છે કે માતાજીના આશીર્વાદથી જેમની ઈચ્છા પૂરી થાય છે, તેઓ મંદિરમાં પારણું અર્પણ કરવા આવે છે.
હાલમાં નવરાત્રિ નિમિત્તે અહીં ભવ્ય મેળો ભરાયો છે અને 108 કુંડીય શતચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સાત માળના ભવ્ય યજ્ઞ મંડપની પરિક્રમા કરવા માટે હજારો ભક્તો દૂર-દૂરથી આવી રહ્યા છે. આશરે બે દાયકા પહેલા અહીં પહાડી પર એક નાનું મંદિર હતું, પરંતુ આજે ટ્રસ્ટના પ્રયત્નોથી આ સ્થળ એક ભવ્ય શક્તિપીઠમાં પરિવર્તિત થઈ ગયું છે, જેની રોશનીથી આખું ભેસવા ગામ ઝગમગી ઉઠ્યું છે.
પૌરાણિક કથા: લાખા વણઝારા અને બીજાસણ માતાની ગાથા
આ મંદિર સાથે 600 વર્ષ જૂની એક રસપ્રદ કથા જોડાયેલી છે. લોકવાયકા મુજબ, આ વિસ્તારમાં લાખા નામનો વણઝારો પોતાના પશુઓ ચરાવવા આવતો હતો. એક દિવસ તેને જંગલમાં એક નાની બાળકી મળી, જેને તેણે પોતાની પુત્રી માનીને ઉછેરી અને તેનું નામ 'બીજાસણ' રાખ્યું. બીજાસણ મોટી થઈ ત્યારે તે પહાડો પર જ્યાં પણ 'ઓમ' બોલતી ત્યાં ચમત્કારી રીતે પાણી ઉત્પન્ન થઈ જતું. એક દિવસ જ્યારે લાખા વણઝારાએ આ ચમત્કાર છુપાઈને જોવાનો પ્રયાસ કર્યો, ત્યારે કન્યા ધરતીમાં સમાઈ ગઈ. આ સ્થળ આજે 'દૂધ તલાઈ' તરીકે ઓળખાય છે, જ્યાં માતાજીનું સ્થાન પ્રગટ થયું હોવાનું મનાય છે.
'દૂધ તલાઈ'નો ચમત્કાર અને ઊંધા સાથિયાનું રહસ્ય
ભેસવા માતાના દરબારમાં માત્ર સંતાન પ્રાપ્તિ જ નહીં, પરંતુ સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ચમત્કારો પણ જોવા મળે છે. એવી માન્યતા છે કે જો કોઈ નવજાત બાળકની માતાને દૂધ ન આવતું હોય, તો તે દૂધ તલાઈના પવિત્ર જળનો ઉપયોગ કરે છે અને માતાજીની કૃપાથી તેને રાહત મળે છે. આ શ્રદ્ધાને કારણે જ આજે પણ મંદિરના પરિસરમાં હજારો પારણાં ટંગાયેલા જોવા મળે છે, જે ભક્તોની અતૂટ આસ્થાના પ્રતીક છે.





