મણિપુરની રાજનીતિમાં ઉઠલપાઠલ થઈ છે. મુખ્યમંત્રી બિરેન સિંહે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. બિરેન સિંહે રાજ્યપાલ અજયકુમાર ભલ્લા સાથે મુલાકાત કરીને તેમને પોતાનું રાજીનામું સોંપ્યું છે. મહત્વનું છે કે રવિવારે રાજીનામું સોંપતા પહેલા સવારે જ તેમની મુલાકાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે થઈ હતી. આ મુલાકાત બાદ તેઓ ઈમ્ફાલ પરત ફર્યા હતા, અને મુખ્યમંત્રીના પદ પરથી તેમણે રાજીનામું આપ્યું છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા મહિનાઓથી મણિપુરમાં હિંસાની સ્થિતિ છે, આ વચ્ચે તેમણે પોતાના પદ પરથી રાજીનામું સોંપ્યું છે.
બિરેન સિંહે કેમ આપ્યું રાજીનામું?
એવું માનવામાં આવે છે કે બિરેન સિંહના નેતૃત્વ સામે મણિપુર પ્રદેશ ભાજપમાં જ અસંતોષ પ્રવર્તી રહ્યો હતો, આ અસંતોષને શાંત કરવા તેમણે રાજીનામું આપ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યુ છે કે મણિપુરની વર્તમાન સરકારને કોંગ્રેસની અવિશ્વાસની દરખાસ્ત અથવા ફલોર ટેસ્ટનો સામનો કરવો પડી શકે તેમ છે. જોકે મહત્વની વાત એ છે કે કોનરાડ સંગમાની નેશનલ પીપલ્સ પાર્ટી સરકાર પાસેથી સમર્થન પાછુ ખેંચી લે તો પણ ભાજપ પાસે બહુમત સાબિત કરવા માટે પૂરતી સંખ્યા છે. તેમ છતાં એ સંભાવનાને નકારી ના શકાય કે રાજ્યમાં નેતૃત્વ બદલવાની માગ કરનારા ધારાસભ્યો ફલોર ટેસ્ટની સ્થિતિમાં પાર્ટીના વ્હીપનો અનાદર કરી શકે છે.
કેન્દ્રીય નેતૃત્વને મળ્યા હતા બિરેન સિંહ
આ બધા વચ્ચે બિરેન સિંહે દિલ્હી પહોંચીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ તેમણે ઈમ્ફાલ આવીને રાજ્યપાલને ત્યાગપત્ર સોંપ્યુ હતું.





