પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ દેશ વિરોધી ટિપ્પણી કરનારા લગભગ 19 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં ધારાસભ્યો, પત્રકારો, વિદ્યાર્થીઓ અને વકીલોનો સમાવેશ થાય છે. આ તમામ ધરપકડો ત્રણ પૂર્વોત્તર રાજ્યો - આસામ, મેઘાલય અને ત્રિપુરામાં કરવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે સૌથી પહેલા ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના ધારાસભ્ય અમીનુલ ઈસ્લામની ધરપકડ કરવામાં આવી હતી. અમીનુલે 2019ના પુલવામા હુમલા અને પહેલગામમાં તાજેતરના આતંકી હુમલાને સરકારનું ષડયંત્ર ગણાવ્યું હતું. તેના પર દેશદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો છે અને તેને 4 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે 'અમે તમામ સોશિયલ મીડિયા પોસ્ટની તપાસ કરી રહ્યા છીએ અને જે લોકો અમને રાષ્ટ્ર વિરોધી જણાશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ સમાનતા નથી. બંને દેશો દુશ્મન દેશો છે અને આપણે આવા જ રહેવું જોઈએ.
પૂર્વોત્તરમાં થયેલી 19 ધરપકડોમાંથી 14 એકલા આસામમાં કરવામાં આવી હતી. હૈલાકાંડીથી પત્રકાર મોહમ્મદ જબીર હુસૈન, કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થી મોહમ્મદ એકે બહાઉદ્દીન અને સિલચરના વકીલ મોહમ્મદ જાવેદ મજુમદાર, મોરીગાંવના મોહમ્મદ મહાહર મિયા, કરીમગંજના મોહમ્મદ મુસ્તા અહેમદ ઉર્ફે સાહેલ અને શિવસાગરના મોહમ્મદ સાહિલ અલીની પણ ધરપકડ કરવામાં આવી હતી.
ત્રિપુરામાં પણ 4ની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ધલાઈ જિલ્લાના નિવૃત્ત શિક્ષક જવાહર દેબનાથ અને ધર્મનગરના નિવૃત્ત શિક્ષક સેજલ ચક્રવર્તીનો સમાવેશ થાય છે. મેઘાલયમાં સિમોન શૈલાની પૂર્વ ખાસી હિલ્સ જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ પર ભારત વિરોધી ટિપ્પણી કરવાનો આરોપ છે.





