મહારાષ્ટ્રના સંભાજીનગરમાં ઔરંગઝેબની કબર હટાવવાની માગ તેજ થઈ છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત કોંગ્રેસ, શિવસેના અને મનસેએ એક સૂરે આ માગણીને સમર્થન આપ્યું છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નિવેદન આપ્યું કે- ઔરંગઝેબની કબર હટાવવાની ઈચ્છા અમારી પણ છે, પરંતુ આ એક સંરક્ષિત સ્થળ છે. કોંગ્રેસ સરકારના સમયમાં ભારતીય પુરાત્વ સર્વેક્ષણ એટલે કે ASIથી સંરક્ષણ મળ્યું છે. કોંગ્રેસે મુખ્યમંત્રી ફડણવીસની આ વાત પર પલટવાર કરતા કહ્યું કે- મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું- દેવેન્દ્ર ફડણવીસ ત્રણવાર મુખ્યમંત્રી બન્યા છે, દર વખતે કોંગ્રેસ પર આરોપ લગાવવા યોગ્ય નથી. વર્તમાન સ્થિતિને જોઈ સરકારે નિર્ણય લેવો જોઈએ.
તમામ પાર્ટીના નેતાઓના એક સૂર
ભાજપ નેતા સુધીર મુંગેટીવારે કહ્યુ કે- મે અફઝલની કબર પરથી દબાણ હટાવાયા હતા તો મારા વિચારો અલગ કઈ રીતે હોઈ શકે? મહાવિકાસ અઘાડીની સરકાર કબર રાખવા માગે છે, અમારી સરકાર હટાવવાના પક્ષમાં છે. ઔરંગઝેબ જેવા આક્રમણકારીનો મહિમામંડન ના થવો જોઈએ, રાવણ બાદ સૌથી દુષ્ટ તે જ હતો. શિવસેના નેતા શંભુરાજ દેસાઈએ પણ કહ્યું કે- અમારી સરકાર કબર હટાવવાના પક્ષમાં છે. આ મુદ્દે મુખ્યમંત્રી અને ઉપ મુખ્યમંત્રી સાથે તેઓ વાતચીત કરશે. મનસેએ પણ સ્પષ્ટ વલણ અપનાવતા કહ્યું કે- શિવાજી મહારાજને હેરાન કરનારા, સંભાજી મહારાજની ક્રૂર હત્યા કરનારની કબર હટાવવી જ જોઈએ.
અબૂ આઝમીના નિવેદન બાદ વકર્યો હતો વિવાદ
સમાજવાદી પાર્ટીના નેતા અબૂ આઝમીએ ઔરંગઝેબનો બચાવ કરતા નિવેદન આપ્યુ હતું કે- 17મી સદીના મુઘલ બાદશાહ ઔરંગઝેબ ક્રૂર, અત્યાચારી અને અસહિષ્ણુ નહોતો, ફિલ્મમાં ખોટી રીતે મુઘલ બાદશાહની વિકૃત છબી દર્શાવાઈ છે. જો કે નિવેદન બાદ અબૂ આઝમીએ સ્પષ્ટતા કરી કે તેઓ શિવાજી મહારાજ અને સંભાજી મહારાજ વિરુદ્ધ બોલવાનું વિચારી પણ ના શકે. મારા શબ્દોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યા. મે જે કીધુ એ ઈતિહાસકારોના લેખોના આધારે કહ્યુ હતું. છત્રપતિ શિવાજી મહારાજ, સંભાજી મહારાજ જેવા મહાન પુરૂષોનું અપમાન મે નથી કર્યું. પોતાના આ નિવેદન પર તેમણે માફી માગી હતી.





