જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં ચાલી રહેલા મહાશિવરાત્રિના પવિત્ર મેળા દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની હતી. જ્યાં એક તરફ ભક્તિ, ભજન અને ધાર્મિક વાતાવરણ છવાયેલું હતું, ત્યાં બીજી તરફ દત્ત ચોક વિસ્તારમાં એક નાગા સાધુના હિંસક વર્તનથી અચાનક અફરાતફરી મચી ગઈ હતી.
હાથમાં ખુલ્લી તલવાર લઈને નિર્દોષ શ્રદ્ધાળુઓ પાછળ દોડવા લાગ્યો
12 ફેબ્રુઆરીની રાત્રે આ નાગા સાધુ અચાનક ઉશ્કેરાઈ ગયો અને હાથમાં ખુલ્લી તલવાર લઈને નિર્દોષ શ્રદ્ધાળુઓ પાછળ દોડવા લાગ્યો. તેણે તલવાર લહેરાવી લોકોને ડરાવ્યા અને રસ્તાની બાજુમાં સૂતેલા નિરાધાર તથા નિર્દોષ લોકોને પણ બેફામ માર માર્યો હતો. સૂતેલા લોકોને અચાનક ધમકી આપતા અને હુમલો કરતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
કપિરાજ દ્વારા પણ લોકો પર હુમલો કરાવ્યો
આ ઉપરાંત સાધુએ પોતાની સાથે રહેલા કપિરાજ દ્વારા પણ લોકો પર હુમલો કરાવ્યો હતો. કપિરાજએ અનેક શ્રદ્ધાળુઓને બચકા ભરી અને પંજા મારી ઈજાગ્રસ્ત કર્યા હતા. અચાનક થયેલી આ હિંસક હરકતથી મેળામાં હાજર લોકો ગભરાઈ ગયા અને ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી. પોલીસે નાગા સાધુની અટકાયત કરી અને વધુ નુકસાન થતું અટકાવ્યું. આ બનાવને કારણે પવિત્ર મેળાના માહોલમાં થોડીવાર માટે સનસનાટી અને ભય ફેલાયો હતો, પરંતુ સમયસરની પોલીસ કાર્યવાહીથી સ્થિતિ ફરી શાંત બની હતી.



















