મ્યાનમારમાં શુક્રવારે 7.7ની તીવ્રતાનો ભૂકંપ પછી આફ્ટરશોકનો સિલસિલો વથાવત છે. દેશના હવામાન અને જળ વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવારે સવાર સુધી 2.8થી 7.5 ની તીવ્રતાનો 66 આંચકો અનુભવાયા હતા. સ્ટેટ એડમિનિસ્ટ્રેશન કાઉન્સિલ ઈન્ફર્મેશન ટીમ અનુસાર, ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 3,085 થઈ ગઈ છે, 4,715 લોકો ઘાયલ થયા છે અને 341 હજુ પણ ગુમ છે.
દરમિયાન, સ્ટેટ એડમિનિસ્ટ્રેશન કાઉન્સિલ (એસએસી)ના અધ્યક્ષ મિન આંગ હ્લાઇંગે જણાવ્યું હતું કે મ્યાનમાર સરકાર ભૂકંપ રાહત અને પુનર્વસન પ્રયાસો માટે 500 અબજ ક્યાત (આશરે 238.09 મિલિયન ડોલર) ફાળવશે. મ્યાનમારના સરકારી દૈનિક 'ધ ગ્લોબલ ન્યૂ લાઇટ ઓફ મ્યાનમાર"ના અહેવાલ મુજબ મ્યાનમારના નેતાએ મંગળવારે ને પી તાવ ખાતે રોકડ દાન સમારોહમાં આ નિવેદન આપ્યું હતું. આ પ્રસંગે શુભચિંતકોએ 104.44 અબજ ક્યાત (49.71 મિલિયન ડોલર) રોકડ અને 12.4 અબજ ક્યાત (5.9 મિલિયન ડોલર) નોન-કેશ વસ્તુઓનું દાન કર્યું હતું.
લશ્કરી શાસકે આંતરરાષ્ટ્રીય મદદ માટે હાકલ કરી
શુક્રવારે મ્યાનમારમાં આવેલા ભયંકર ભૂકંપ પછી, લશ્કરી શાસક મિન આંગ હ્લાઇંગે આંતરરાષ્ટ્રીય મદદ માટે અપીલ કરી હતી. 31 માર્ચ સુધીમાં, 16 દેશો અને પ્રદેશોમાંથી બચાવ ટીમો, ડોકટરો અને નર્સો માનવતાવાદી સહાય અને તબીબી પુરવઠો સાથે મ્યાનમાર પહોંચ્યા છે. મ્યાનમારમાં આવેલા 18 શક્તિશાળી ભૂકંપોમાં 7.7ની તીવ્રતાનો આ બીજો સૌથી શક્તિશાળી ભૂકંપ હતો. આ પહેલાં 1912 માં, દેશમાં 8.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.
મ્યાનમાર રેડ ક્રોસ સોસાયટીના પ્રમુખ મ્યો ન્યુન્ટે જણાવ્યું હતું કે વર્તમાન બચાવ કામગીરીમાં મુખ્ય પડકારોમાં આપત્તિ આકારણી અને લોજિસ્ટિકલ સંકલનનો સમાવેશ થાય છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષાની ચિંતાઓને કારણે, બચાવ ટીમોને પુરવઠાના વિતરણમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, ખાસ કરીને ભારે મશીનરીના અભાવને કારણે, એમ તેમણે જણાવ્યું હતું.
ભૂકંપ પીડિતો માટે સહાય અને બચાવ ટીમો મોકલવામાં આવી હતી
દેશમાં આવેલા ભૂકંપ અને વ્યાપક વિનાશ બાદ મ્યાનમારમાં સોમવારે એક સપ્તાહના શોકની જાહેરાત કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર, યુનાઇટેડ સ્ટેટ્સ, ભારત, યુરોપિયન યુનિયન, અન્ય કેટલાક દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોએ મ્યાનમારમાં ભૂકંપ પીડિતોને સહાય અને બચાવ ટીમો મોકલી છે.





