જીગ્નેશ ભટ્ટ, મોરબી: મોરબીમાં પાટીદાર સમાજના યુવાનોને યેનકેન પ્રકારે વ્યાજના ચક્રમાં ફસાવીને કે પછી હનીટ્રેપમાં ફસાવીને તેની પાસેથી રૂપિયા પડાવવામાં આવે છે જેથી કરીને પાટીદાર સમાજની સામાજિક સુરક્ષા આજે પાટીદાર યુવા સંઘની આગેવાનીમાં યુવાનો કેલેક્ટર કચેરીએ પહોચ્યા હતા અને અંદાજે 200 જેટલા યુવાનોએ પોતાના રક્ષણ માટે કલેક્ટરને અરજી કરીને હથિયાર માટેના લાયસન્સની માંગણી કરી હતી.
ન માત્ર મોરબી પરંતુ સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા વર્ષોમાં હનીટ્રેપ અને વ્યાજખોરીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે મોરબીમાં ખાસ કરીને પાટીદાર સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં ઘણા પાટીદાર યુવાનોને ફસાવીને તેની પાસેથી લાખો રૂપિયા ખુલ્લા અને ગુંડાતત્વો દ્વારા પડાવી લેવામાં આવેલ છે જેથી કરીને આજે મોરબીમાં પાટીદાર યુવા સંઘના પ્રણેતા મનોજભાઈ પનારાની આગેવાનીમાં યુવાનો કેલેક્ટર કચેરીએ પહોચ્યા હતા અને તેઓએ પોતાની તેમજ તેના પરિવારની સુરક્ષા માટે કલેક્ટરને અરજી કરીને હથિયાર માટેનું લાયસન્સ આપવામાં આવે તેવી માંગ કરી હતી ત્યારે એક કે બે નહીં પરંતુ એકી સાથે અંદાજે 200 જેટલા યુવાનોએ પોતાના રક્ષણ માટે કલેક્ટરને અરજી કરીને હથિયાર માટેના લાયસન્સની માંગણી કરી હતી.
મોરબીમાં આવી જ ગેંગનો શિકાર બનેલા દેવ સોરીયા તેમજ સંજયભાઇ બોપલિયા કે જેના પરિવારના સભ્યને રૂપિયા માટે ફસાવવામાં આવેલ છે તે સહિતના યુવાનોએ કલેક્ટર સમક્ષ પોલીસ અધિકારીઓની ઉપર પણ કેટલાક ગંભીર આક્ષેપ કરેલ હતા અને પોલીસની મીલીભગત હોય તેવું વર્તન પોલીસ ભોગ બનેલા વ્યક્તિ સાથે કરે છે જેથી તે ભોગ બનેલ વ્યક્તિને યોગ્ય ન્યાય મળતો નથી તેવી લાગણી વ્યક્ત કરી હતી. ત્યારે કલેકટર કે.બી. ઝવેરીએ પણ એસપીની સાથે મિટિંગ કરીને વ્યાજખોરી, દાદાગીરી, ગુડાગીરી, હનીટ્રેપ સહિતની જે પણ રજૂઆતો પાટીદાર સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા કરવામાં આવી છે તેને ધ્યાને લઈને નક્કર કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.






