Gandhinagar News: છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો પર ઈંધણની અછત અંગે ચાલી રહેલી અફવાઓ પર વિરામ મુકતા ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે મહત્વની જાહેરાત કરી છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે સત્તાવાર રીતે જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કોઈ પણ પ્રકારની તંગી નથી. નાગરિકોએ ગભરાવાની કે સંગ્રહ કરવાની કોઈ જરૂર નથી.
રાજ્ય પાસે પૂરતો સ્ટોક
રાજ્ય સરકારની સમીક્ષા બેઠક બાદ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે વિગતો આપતા કહ્યું હતું કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો (Stock) ઉપલબ્ધ છે. પુરવઠા શૃંખલા (Supply Chain) સુરક્ષિત છે અને ઈંધણનું વિતરણ નિયમિત રીતે થઈ રહ્યું છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જનતાએ પાયાવિહોણી વાતોમાં આવીને ગભરાટમાં ખરીદી (Panic Buying) કરવી જોઈએ નહીં. રાજ્યમાં ઈંધણની કોઈ અછત નથી. નાગરિકોને વિનંતી છે કે તેઓ અફવાઓથી દૂર રહે અને જરૂરિયાત મુજબ જ ખરીદી કરે."
તંત્ર સજ્જ
સરકાર દ્વારા પેટ્રોલિયમ કંપનીઓ સાથે સતત સંપર્ક રાખવામાં આવી રહ્યો છે જેથી કરીને ક્યાંય પણ વિતરણમાં ખલેલ ન પહોંચે. હાલમાં તમામ પેટ્રોલ પંપો પર સ્થિતિ સામાન્ય છે અને જથ્થો સતત રિફિલ કરવામાં આવી રહ્યો છે.





