બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસે પૂર્વ PM શેખ હસીના પર આકરા પ્રહારો કર્યા. યુનુસે હસીનાના શાસન દરમિયાનની આર્થિક વૃદ્ધિને ખોટી ગણાવી છે અને કહ્યું કે તેના ભ્રષ્ટાચાર પર દુનિયાએ જાણે આંખો બંધ કરી દીધી છે. ભારતમાંથી શેખ હસીનાના પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવતા મોહમ્મદ યુનુસે સ્વીકાર્યું કે બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવ છે. તેમણે કહ્યું કે તેઓ ભારત સાથેના તણાવને લઈને ચિંતિત છે. ભારત સાથેના ખરાબ સંબંધો તેમના દિલને ઠેસ પહોંચાડે છે. દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકનું આયોજન થયું. ત્યાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન 84 વર્ષીય યુનુસે અનેક મુદ્દાઓ પર વાત કરી. આ દરમિયાન યુનુસે કહ્યું કે ભારત સાથેના વણસેલા સંબંધો તેમને દુઃખી કરે છે. બંને પાડોશી હોવાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, 'બાંગ્લાદેશ અને ભારતના સંબંધો જેટલા મજબૂત બની શકે તેટલા જ મજબૂત હોવા જોઈએ. બાંગ્લાદેશ વગર ભારતનો નકશો બનાવી શકતા નથી. બંને મહત્વપૂર્ણ પડોશી દેશો છે.
'ભારતે હસીનાને બાંગ્લાદેશ મોકલવી જોઈએ'
યુનુસે ભારત સમક્ષ હસીનાને બાંગ્લાદેશ પરત મોકલવાની માગ કરી, જેથી તેમની સામે કાર્યવાહી થઈ શકે. આ દરમિયાન યુનુસે બાંગ્લાદેશ અને ભારત સંબંધોની મજબૂતી પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે દિલ્લી સાથેના તણાવથી મને અંગત નુકસાન થાય છે. જ્યારે ચીનને બાંગ્લાદેશનો લાંબા ગાળાનો મિત્ર ગણાવ્યો. મોહમ્મદ યુનુસે શેખ હસીના પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, 'હસીનાએ દાવો કર્યો હતો કે તેનો વિકાસ દર સૌથી વધુ છે પરંતુ તે ખોટો વિકાસ દર હતો. બાંગ્લાદેશની વર્તમાન સરકાર એવી અર્થવ્યવસ્થા ઈચ્છે છે જેનાથી ગરીબોને ફાયદો થાય. હસીનાની સરકારમાં ગણતરીના લોકોને જ ફાયદો થયો છે
ટૂંક સમયમાં ચૂંટણી યોજાશેઃ યુનુસ
ગત વર્ષે જુલાઈમાં બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના નેતૃત્વમાં હિંસક આંદોલન પછી શેખ હસીનાની સરકાર પડી ભાંગી હતી. આ પછી યુનુસને નવેસરથી ચૂંટણી કરાવવા માટે વચગાળાની સરકારમાં મુખ્ય સલાહકાર તરીકે પસંદ કરવામાં આવ્યા. યુનુસે આ વર્ષના અંત સુધીમાં અથવા 2026ની શરૂઆતમાં ચૂંટણી કરાવવાનું વચન આપ્યું છે. જોકે, તેમણે ચૂંટણી લડવામાં કોઈ રસ નથી દાખવ્યો.





