મોદી સરકારે નવા વર્ષના પ્રથમ દિવસે જ ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત કરી છે. સરકારે ડાય અમોનિયમ ફોસ્ફેટ એટલે કે DAP ખાતરની ખરીદી માટે 3850 કરોડ રૂપિયાના એક ખાસ પેકેજનો વિસ્તાર કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક મામલાની મંત્રીમંડળની સમિતિ બેઠકમાં લેવામાં આવ્યો છે. આ વર્ષ એટલે જાન્યુઆરી-ડિસેમ્બર 2025ની અવધિ માટે આ પેકેજને મંજૂરી આપવામાં આવે છે.
ખેડૂતોને થશે આ ફાયદો
સરકારના આ નિર્ણયથી ખેડૂતોને વ્યાજબી કિંમતે DAP ખાતર મળી રહેશે. હાલ DAP ખાતરનો ભાવ 50 કિલોનો 1350 રૂપિયા છે. સરકારની આ નવી જાહેરાતથી તેની કિંમતોમાં કોઈ ફેરફાર નહીં થાય. મોદી સરકાર વન ટાઈમ સ્પેશિયલ સબસિડી આપીને એ સુનિશ્ચિત કરવા માંગે છે કે, DAP ખાતરના ભાવ હવે વધુ વધારો ન થાય, જેથી ખેડૂતો પર વધારાનો બોજ ન પડે. આ નિર્ણયથી બજારમાં DAP ખાતરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં મદદ મળશે.
કેન્દ્રીય કેબિનેટનો બીજો મોટો નિર્ણય
આ સાથે નવા વર્ષે કેન્દ્રીય કેબિનેટનો વધુ એક નિર્ણય સામે આવ્યો છે. જે અંતર્ગત ખેડૂતોને વીમા યોજનામાં મહત્વનો લાભ મળશે.જગતના તાત માટેની વીમા યોજનાને વધુ સરળ બનાનવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના માટે તેના નિયમોમાં સુધારો કરવામાં આવશે. ખેડૂતોને સસ્તા દરે પાક વીમો મળશે અને તેના માટે નિયમો સરળ રાખવામાં આવશે તે પ્રકારનો નિર્ણય કેન્દ્રીય કેબિનેટમાં લેવામાં આવ્યો છે.






