MLA Prakash Varmora : સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા–હળવદના ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરા ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. ધારાસભ્ય વરમોરાએ ફેસબુક પર મહાત્મા ગાંધીજી અંગે વિવાદસ્પદ ટિપ્પણી કરી હતી. પોતાની પોસ્ટમાં તેમણે “મહાત્મા ગાંધીજી પણ એક વખત દારૂ પીતા થઈ ગયા હતા” એવો દાવો કરતો સ્ટેટમેન્ટ આપ્યું હતું. તેમનો આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોએ ભારે વિરોધ વ્યક્ત કર્યો છે.
સ્થાનિક રાજકીય વર્તુળમાં ચર્ચા
ગાંધીજી અંગે નિંદાત્મક ભાષામાં કરાયેલા આ નિવેદન બાદ સ્થાનિક રાજકીય વર્તુળમાં ચર્ચા ઉઠી છે. આ મુદ્દે આપના સ્થાનિક નેતા કમલેશ કોટેચા અને પાટીદાર નેતા ગીતા પટેલ બંનેએ ધારાસભ્ય પ્રકાશ વરમોરાની તીખી નિંદા કરી છે. નેતાઓએ જણાવ્યું કે, મહાત્મા ગાંધી જેવા મહાન પુરુષ અંગે બિનઆધારિત અને અપમાનજનક ટિપ્પણી કરવી એક ચૂંટાયેલા જનપ્રતિનિધિને બિલકુલ શોભતું નથી.
દારૂ મામલે પ્રકાશ વરમોરાના બેફામ નિવેદનો!
વિવાદ વધતા જાહેરમંચો અને સોશિયલ મીડિયા પર પણ લોકો અલગ–અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ સમગ્ર મામલે હવે વધુ રાજકીય તાપ ચડવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ દારૂ અને રાજકીય નેતાઓ અંગે વિવાદીત નિવેદન આપ્યું હતું. જેના કારણે તેઓ ભારે ચર્ચામાં પણ રહ્યાં હતા. જો કે, હવે ગાંધીજી પર નિવેદન આપી વધુ એકવાર ચર્ચામાં આવ્યા છે.






