ભરૂચ જિલ્લાના વાગરા ખાતે યોજાયેલી આમ આદમી પાર્ટીની જાહેર સભામાં ઝઘડિયા ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સામે આકરા પ્રહારો કર્યા હતા. સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો હાજર રહ્યા હતા, જેમાં ચેતર વસાવાના નિવેદનોએ રાજકીય ગરમી વધારી દીધી હતી.
'અમને દર વર્ષે જેલમાં નાખો છો તો તમે પણ તૈયાર રહેજો'
જાહેર સભાને સંબોધતા ચૈતર વસાવાએ કહ્યું હતું કે, “અમને દર વર્ષે જેલમાં નાખો છો તો તમે પણ તૈયાર રહેજો, તેમણે આક્ષેપ કર્યો કે આમ આદમી પાર્ટીના કાર્યકરોને વારંવાર હેરાન કરવામાં આવે છે અને ત્રણ-ત્રણ, ચાર-ચાર મહિને ખોટા કેસોમાં જેલમાં નાખવામાં આવે છે'.
'...અમે બધું યાદ રાખીએ છીએ'
ચેતર વસાવાએ વધુમાં કહ્યું હતું કે, “તમને જેટલું વેઠાય એટલું અમારા કાર્યકરોને હેરાન કરજો, પરંતુ અમે બધું યાદ રાખીએ છીએ” તેમણે ભાજપને સીધી ચેતવણી આપતાં જણાવ્યું કે, “અમે વ્યાજ સહિત તમારો હિસાબ કરવાના છીએ.” તેમના આ નિવેદનને લઈને સભામાં જોરદાર નારા અને ઉત્સાહ જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ ભાજપ પર આરોપ લગાવ્યો કે સત્તાના બળે વિરોધ પક્ષના નેતાઓ અને કાર્યકરોને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી આ દબાણથી ડરવાની નથી અને લોકોના હિત માટે લડત ચાલુ રાખશે.
રાજકીય માહોલ ગરમાયો
ચેતર વસાવાના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. વાગરાની આ જાહેર સભામાં આપેલા આ આક્રમક ભાષણને લઈને આગામી સમયમાં રાજકીય માહોલ વધુ ગરમાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.





















