Jetha Bharwad : ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી જેઠા ભરવાડે આપેલા રાજીનામા મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ સ્પષ્ટતા કરી છે. જીતુ વાઘાણીએ જણાવ્યું કે, 'જેઠાભાઈ ભરવાડ ભાજપના સ્વીકૃત અને મોટા ગજાના નેતા છે. તેઓ નાફેડના ચેરમેન તરીકે પણ મહત્વની જવાબદારી નિભાવી રહ્યા છે અને સહકાર ક્ષેત્રમાં દૂધની સીધી ચૂકવણી પ્રણાલી શરૂ કરાવવામાં પણ તેમનો મહત્વનો ફાળો રહ્યો છે.
'આજે પાર્ટીએ જેઠાભાઈ ભરવાડની વાત સ્વીકારી છે'
પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, 'જેઠાભાઈ ભરવાડે પોતાની વ્યસ્તતા અને અનેક જવાબદારીઓને ધ્યાનમાં રાખીને સ્વેચ્છાએ ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે. તેમની ઉપર અનેક જવાબદારીઓ હોવાથી તેઓ લાંબા સમયથી પાર્ટી સમક્ષ પોતાની વ્યસ્તતા અંગે રજૂઆત કરતા હતા. જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું કે, 'આજે પાર્ટીએ જેઠાભાઈ ભરવાડની વાત સ્વીકારી છે અને તેમનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું છે. તેમ છતાં, પાર્ટી અને સરકારને આગળ પણ જેઠા ભરવાડનું માર્ગદર્શન મળતું રહેશે. ઉપાધ્યક્ષ પદ ખાલી થતાં હવે આ જગ્યા કોણ ભરી શકે તે અંગે અંતિમ નિર્ણય શીર્ષ નેતૃત્વ દ્વારા લેવામાં આવશે, એવું પણ જીતુ વાઘાણીએ જણાવ્યું છે.
કોણ છે જેઠા ભરવાડ?
1998થી 2022 સુધી 6 વાર શહેરા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા છે. વર્ષ 1998માં જેઠાભાઈ ભરવાડ સમાજવાદી પક્ષ તરફથી ચૂંટાઈને આવ્યા હતા. વર્ષ 2002માં તેઓ ભારતીય જનતા પાર્ટી તરફથી આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને અને કોંગ્રેસ ઉમેદવાર છત્રસિંહને હરાવ્યા હતા. ત્યારથી લઈને વર્ષ 2022 સુધી જેઠાભાઈ આ બેઠક પર જીતતા આવ્યા છે.
ત્રિપાંખિયા જંગ વચ્ચે શહેરા બેઠક પરથી જીત્યા
પંચમહાલની પાંચ બેઠકોમાં શહેરા બેઠક પર જેઠા ભરવાડનું દબોદબો છે અને જેઓ આ બેઠક પરથી ધારાસભ્ય છે. અહીં 2020માં ભાજપે ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ ન આપતા આ બેઠક ચર્ચામાં રહી હતી. ભાજપે સીટીંગ MLA જેઠા ભરવાડને ટિકિટ આપી હતી. આ બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. કોંગ્રેસ આ બેઠક પર ખાતુભાઈ પગીને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટીએ તખતસિંહ સોલંકીને ટિકિટ આપી હતી. જોકે, આ ચૂંટણીમાં શહેરા બેઠક પરથી પોલીસ-કોન્સ્ટેબલમાંથી ધારાસભ્યપદ સુધી પહોંચનારા જેઠાભાઈ ભરવાડ બાજી મારી ગયા હતા. શહેરાની જનતા જેઠા ભરવાડને ચૂટી આવ્યા હતા





















