સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા ખરાબ વાતાવરણના કારણે હવે કૃષિ બજારો પર પણ અસર જોવા મળી રહી છે. ભારે વરસાદ અને અનિશ્ચિત હવામાનને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના અનેક માર્કેટ યાર્ડ (APMC) બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
ચાર દિવસ સુધી યાર્ડ સંપૂર્ણ રીતે બંધ રહેશે
બોટાદ APMCએ જાહેરાત કરી છે કે આજથી આગામી ચાર દિવસ સુધી, એટલે કે 31 ઓક્ટોબર સુધી યાર્ડ સંપૂર્ણ રીતે બંધ રહેશે. આ નિર્ણય ખેડૂતોના હિતમાં લેવામાં આવ્યો છે, જેથી ખરાબ વાતાવરણને કારણે તેમની જણસને નુકસાન ન થાય.
બોટાદ માર્કેટ યાર્ડમાં રાજકોટ, અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી સહિતના જિલ્લાઓમાંથી મોટા પ્રમાણમાં ખેડૂતો પોતાની ખેતીની ઉપજ લઈને આવતા હોય છે. હવામાનની અસ્થિરતાને કારણે આ જિલ્લામાંથી આવનારા ખેડૂતોને મુશ્કેલી ન પડે અને માલસામાન બગડે નહીં, તે માટે તાત્કાલિક રીતે યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સતર્ક અને સાવધાન રહેવા સૂચના
સત્તાધિકારીઓ જણાવ્યું છે કે, હવામાન સામાન્ય થયા પછી યાર્ડ ફરીથી શરૂ કરવામાં આવશે. ખેડૂતોને સલામત રીતે પોતાની ઉપજ સાચવવાની અને હવામાનની પરિસ્થિતિ પર નજર રાખવાની પણ અપીલ કરવામાં આવી છે.






