Home Gujarat Vadodara Manjalpur Bypoll Bhupendra Patel Campaign For Satish Patel

માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપનો ઝંઝાવાતી પ્રચાર : ઉમેદવાર સતીશ પટેલના સમર્થનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મેદાનમાં

માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ ઉમેદવાર સતીશ પટેલના સમર્થનમાં પ્રચાર કરતા ભૂપેન્દ્ર પટેલ.
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 24, 2026, 05:57 PM IST

વડોદરા: માંજલપુર વિધાનસભા બેઠકની આગામી પેટાચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાઈ રહ્યો છે. બેઠક પર વિજય મેળવવા માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના પ્રચાર અભિયાનને વધુ વેગ આપ્યો છે. અગાઉ નાયબ મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા પ્રચાર કરવામાં આવ્યા બાદ હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે વડોદરા પહોંચ્યા હતા અને ભાજપના ઉમેદવાર સતીશ પટેલના સમર્થનમાં ચૂંટણી પ્રચારની કમાન સંભાળી હતી. મુખ્યમંત્રીની હાજરીથી ભાજપના કાર્યકરોમાં નવા ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રીના વડોદરા આગમન બાદ તેમણે સૌથી પહેલા માંજલપુર વિસ્તારના એક ખાનગી મોલ ખાતે શહેરના વિવિધ સમાજોના પ્રતિષ્ઠિત આગેવાનો, ઉદ્યોગકારો અને અગ્રણી નાગરિકો સાથે વિશેષ બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન પ્રદેશના વિકાસ, સરકારની યોજનાઓ અને માંજલપુરના સર્વાંગી વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત સામાજિક આગેવાનોએ પણ પોતાના સૂચનો અને અભિપ્રાયો રજૂ કર્યા હતા.

સોસાયટીના હોદ્દેદારો સાથે સીધો સંવાદ

પ્રથમ બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારકેશ પાર્ટી પ્લોટ ખાતે પહોંચ્યા હતા, જ્યાં વિસ્તારની વિવિધ રહેણાંક સોસાયટીઓના પ્રમુખો, મંત્રીઓ અને હોદ્દેદારો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીએ ઉપસ્થિત લોકોને સંબોધતા જણાવ્યું હતું કે સ્થાનિક વિકાસના કાર્યોને વધુ ગતિ આપવા માટે ભાજપના ઉમેદવાર સતીશ પટેલને વિજયી બનાવવો જરૂરી છે. તેમણે ઉપસ્થિત આગેવાનોને અપીલ કરી હતી કે તેઓ પોતાના વિસ્તારમાં સરકારની વિકાસયાત્રા અને જનકલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડે તેમજ વધુમાં વધુ મતદારોને મતદાન માટે પ્રેરિત કરે. કાર્યક્રમ દરમિયાન ભાજપના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

વિકાસના મુદ્દે મુખ્યમંત્રીનો ભાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં રાજ્ય સરકારની વિકાસયાત્રા અને છેલ્લા બે દાયકાથી વધુ સમય દરમિયાન થયેલા પરિવર્તનોને વિગતવાર રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું કે વાયબ્રન્ટ ગુજરાત સમિટ દ્વારા સમગ્ર વિશ્વમાં ગુજરાતની ઓળખ વધુ મજબૂત બની છે અને આજે વૈશ્વિક રોકાણકારો રાજ્યમાં રોકાણ કરવા માટે આગળ આવી રહ્યા છે. સેમિકન્ડક્ટર, મેન્યુફેક્ચરિંગ, ફાર્મા અને અન્ય અદ્યતન ઉદ્યોગોમાં ગુજરાત ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમણે જણાવ્યું કે છેલ્લા 25 વર્ષ દરમિયાન રાજ્યમાં અંદાજે 82 લાખ લોકોને રોજગારીની તકો ઉપલબ્ધ થઈ છે. ઔદ્યોગિક વિકાસ અને રોકાણને કારણે ગુજરાત દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારનો મુખ્ય હેતુ દરેક વર્ગના લોકો સુધી વિકાસના લાભ પહોંચાડવાનો છે.

પારદર્શક શાસન અને જનકલ્યાણ યોજનાઓનો ઉલ્લેખ

મુખ્યમંત્રીએ સરકારની પારદર્શક કાર્યપદ્ધતિ અને સુશાસન પર ભાર મૂકતા જણાવ્યું કે લોકોના વિશ્વાસને કારણે રાજ્યની કર આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આ વધેલી આવકનો ઉપયોગ માર્ગ, પાણી, આરોગ્ય, શિક્ષણ અને અન્ય માળખાકીય વિકાસના કાર્યોમાં કરવામાં આવી રહ્યો છે. તેમણે 'નાગરિક દેવો ભવ:'ના મંત્ર સાથે સરકાર કાર્ય કરી રહી હોવાનું જણાવી આયુષ્માન ભારત યોજના, ગરીબ કલ્યાણ યોજનાઓ, મહિલાઓના સશક્તિકરણ, ખેડૂતો માટેની સહાય અને યુવાનો માટે રોજગારીની તકો જેવી વિવિધ યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમના મતે, આયુષ્માન કાર્ડ યોજના લાખો પરિવારો માટે આરોગ્ય સુરક્ષાનું મજબૂત કવચ બની છે.

પેટાચૂંટણીને લઈ ભાજપે વધારી સંગઠનની તાકાત

માંજલપુર બેઠક ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ માનવામાં આવી રહ્યો છે. તેથી સંગઠનના તમામ સ્તરે કાર્યકરોને સક્રિય કરવામાં આવ્યા છે. શહેરથી લઈને બૂથ સ્તર સુધીના હોદ્દેદારોને મતદારો સુધી પહોંચવા, ઘર-ઘર સંપર્ક અભિયાન ચલાવવા અને સરકારની ઉપલબ્ધિઓ લોકો સુધી પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી છે. રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે મુખ્યમંત્રીની સીધી હાજરીથી ચૂંટણી પ્રચારને વધુ વેગ મળશે. આગામી દિવસોમાં પણ ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓ અને સ્ટાર પ્રચારકો દ્વારા માંજલપુરમાં જાહેર સભાઓ અને જનસંપર્ક કાર્યક્રમો યોજાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો: સુરતમાં વરસાદનો કહેર: ઉપરવાસમાં ભારે વરસાદથી મગોબ વિસ્તાર જળબંબાકાર : ડ્રોન વીડિયોમાં સામે આવ્યા ચોંકાવનારા દૃશ્યો

તમામ પક્ષો પ્રચારમાં વ્યસ્ત

બીજી તરફ પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને અન્ય રાજકીય પક્ષોએ પણ પોતાના પ્રચારને તેજ બનાવ્યો છે. આગામી દિવસોમાં ઉમેદવારો દ્વારા રોડ શો, જાહેર સભાઓ અને ડોર-ટુ-ડોર સંપર્ક અભિયાન વધુ વેગવાન બનવાની શક્યતા છે. માંજલપુર બેઠક પર મતદારોનો ઝુકાવ કઈ તરફ રહે છે તેના પર સૌની નજર ટકેલી છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર મતદાનની તારીખ નજીક આવતાં રાજકીય ગતિવિધિઓમાં વધુ તેજી આવવાની સંભાવના છે. તમામ પક્ષો પોતાના ઉમેદવારને વિજય અપાવવા માટે સંપૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરી ગયા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now