Home Gujarat Mahisagar Virpur Facebook Story Attack Case

મહીસાગરમાં ઘરમાં ઘૂસી કરાયો જીવલેણ હુમલો : ભાજપના પૂર્વ નેતા સહિત 4 સામે નોંધાયો ગુનો

પોલીસ સ્ટેશનની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 27, 2026, 02:19 PM IST

મહીસાગર જિલ્લાના વિરપુરમાં સોશિયલ મીડિયા પર મૂકાયેલી ફેસબુક સ્ટોરીને લઈને ચોંકાવનારી હિંસક ઘટના સામે આવી છે. સામાન્ય સોશિયલ મીડિયા વિવાદે જીવલેણ હુમલાનું રૂપ લેતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી છે. આ મામલે ભાજપના પૂર્વ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન પિનાકીન શુક્લ સહિત ચાર શખ્સો સામે લૂંટ, મારામારી અને જાહેરનામા ભંગનો ગુનો નોંધાતા રાજકીય વર્તુળોમાં પણ ખળભળાટ મચી ગયો છે.

માહિતી અનુસાર વિરપુરમાં રહેતા ભદ્રેશકુમાર સુથાર નામના આધેડ પર મધરાત્રિના સમયે તેમના જ ઘરમાં ઘૂસી હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓએ “ફેસબુક પર ફોટા કેમ મૂકે છે” કહી ગાળો આપી લોખંડની પાઇપ અને લાકડીઓ વડે ઢોર માર માર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ઘરમાં ઘૂસી હુમલો

ફરિયાદ મુજબ હુમલાખોરોએ ભદ્રેશકુમાર સુથારના ઘરે ઘૂસી તોડફોડ અને મારઝૂડ શરૂ કરી હતી. હુમલા દરમિયાન લોખંડની પાઇપ અને દંડાથી કરવામાં આવેલા પ્રહારોને કારણે આધેડને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ખાસ કરીને પગમાં ગંભીર ઇજા થતા ટાંકા લેવા પડ્યા હોવાનું સામે આવ્યું છે.

હુમલાખોરો માત્ર મારઝૂડ કરીને અટક્યા નહોતાં, પરંતુ ઘરમાંથી લેપટોપ અને મોબાઇલ ફોન પણ લૂંટી ફરાર થઈ ગયા હતા. ફરિયાદ મુજબ અંદાજે રૂપિયા 20 હજારનું લેપટોપ અને રૂપિયા 5 હજારનો મોબાઇલ મળી કુલ 25 હજાર રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં ઉનાળુ વેકેશન લંબાવવા પ્રબળ માંગ : શાળા સંચાલક મહામંડળનો મુખ્યમંત્રીને પત્ર

ભાજપના પૂર્વ નેતાનું નામ આવતા ચકચાર

આ કેસમાં મહીસાગર જિલ્લા પંચાયતના પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન પિનાકીન શુક્લનું નામ સામે આવતા સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ફરિયાદમાં પિનાકીન શુક્લ ઉપરાંત ગૌરાંગ જોશી, ચિરાગ બામણીયા અને અન્ય એક શખ્સનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે.

પોલીસ સૂત્રો મુજબ ફરિયાદી ભદ્રેશકુમાર સુથાર અગાઉ પિનાકીન શુક્લની ઓફિસમાં કામ કરતા હતા. સોશિયલ મીડિયા પર મૂકાયેલી ફેસબુક સ્ટોરીને લઈને બંને પક્ષ વચ્ચે અદાવત ચાલી રહી હતી, જે બાદ આ હુમલો થયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

વિરપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

આ સમગ્ર મામલે વિરપુર પોલીસ સ્ટેશનના PSI અલ્પેશ બારીઆએ ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસે જાહેરનામા ભંગ, લૂંટ અને મારામારી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

આ પણ વાંચો: મોદી સરકારના 12 વર્ષની ઉજવણી નિમિત્તે દરેક જિલ્લામાં થશે ખાસ પ્રદર્શન : ‘એક પેડ મા કે નામ’ થી ‘પ્રગતિપથ યાત્રા’ સુધી, જાણો ગુજરાતમાં શું થશે

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો

પોલીસના જણાવ્યા અનુસાર આરોપી પિનાકીન શુક્લ વિરુદ્ધ અગાઉ પણ વિરપુર પોલીસ મથકે અનેક ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ રેકોર્ડ મુજબ તેમના સામે આશરે 8 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. આ માહિતી બહાર આવતા સ્થાનિક સ્તરે રાજકીય અને સામાજિક ચર્ચાઓ તેજ બની છે. સોશિયલ મીડિયા પર પણ આ ઘટનાને લઈને લોકોમાં ભારે પ્રતિક્રિયા જોવા મળી રહી છે.

તાજેતરના સમયમાં સોશિયલ મીડિયા પોસ્ટ, સ્ટોરી અથવા કોમેન્ટને લઈને વિવાદો વધી રહ્યા છે. અનેક કેસોમાં સામાન્ય ઓનલાઇન અદાવત હિંસક અથડામણ સુધી પહોંચી રહી છે. વિરપુરની આ ઘટના પણ તે જ દિશામાં ચેતવણીરૂપ બની છે.

સોશિયલ મીડિયા પરની પ્રતિક્રિયાઓને લઈને વધતી અસહિષ્ણુતા સમાજ માટે ચિંતાજનક છે. ખાસ કરીને યુવાનો અને રાજકીય વર્તુળોમાં સોશિયલ મીડિયા આધારિત વિવાદો વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરતા હોવાનું જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ઇબોલા વાયરસનો કોઈ કેસ નથી: પ્રફુલ પાનશેરિયા : કોંગોથી આવેલા શંકાસ્પદ યુવક સહિત 3 લોકોને માત્ર અગમચેતીના ભાગરૂપે કરાયા ક્વોરેન્ટાઇન

પોલીસ પેટ્રોલિંગ અને કાયદો વ્યવસ્થા સામે સવાલ

મધરાત્રિના સમયે ઘરમાં ઘૂસી હુમલો થવાની ઘટનાએ સ્થાનિક કાયદો અને વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા કર્યા છે. લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે અને પોલીસ પેટ્રોલિંગ વધુ મજબૂત બનાવવાની માંગ ઉઠી રહી છે. હાલ પોલીસે આરોપીઓની શોધખોળ તેજ બનાવી છે અને સમગ્ર ઘટનાક્રમના તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now