કેપ્ટન કૂલ' શબ્દ સાંભળતા જ જે વ્યક્તિનો ચહેરો યાદ આવે છે તે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છે. ધોની ઇચ્છે છે કે, આ નામ તેની સાથે હંમેશા માટે જોડાયેલું રહે. કદાચ એટલા માટે જ તેણે 'કેપ્ટન કૂલ' પર ટ્રેડમાર્ક માટે અરજી કરી છે. પરંતુ, હવે દિલ્હીના એક વકીલ દ્વારા તેની અરજીને પડકારવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિલ્હી સ્થિત વકીલ આશુતોષ ચૌધરીએ 'કેપ્ટન કૂલ' પર ટ્રેડમાર્ક માટે અરજીને પડકાર ફેંક્યો છે. તેમનો દાવો છે કે, 'આ એક ખૂબ જ સામાન્ય શબ્દ છે. આથી એકલા ધોનીના આ શબ્દ પર એકાધિકાર નથી. વર્ષોથી ઘણા ખેલાડીઓના નામ સાથે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.
આશુતોષ ચૌધરીએ એક એવી પણ દલીલ કરી હતી કે આ અરજી ટ્રેડમાર્ક એક્ટ, 1999 માટે જરૂરી કાનૂની શરતોને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે. તેમણે કહ્યું કે, માત્ર લોકપ્રિયતા જ કાનૂની મર્યાદાને પૂરી કરતી નથી. આ માટે બીજી ઘણી જરૂરી શરતો છે.'
ટ્રેડ માર્ક્સ રજિસ્ટ્રીએ ધોનીની ઔપચારિક અરજીને મંજૂરી આપી છે. તે એક સત્તાવાર જર્નલમાં પણ છાપવામાં આવી છે. ધોનીએ ક્લાસ-41 હેઠળ અરજી કરી હતી, જેમાં શિક્ષણ, મનોરંજન, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સંબંધિત ટ્રેડમાર્ક આપવામાં આવ્યા છે.
2023માં ધોનીએ અરજી કરી હતી
એમએસ ધોનીની અરજી જૂન 2023 માં દાખલ કરવામાં આવી હતી. જૂન 2025 માં ટ્રેડમાર્ક રજિસ્ટ્રીના કોલકાતા કાર્યાલય દ્વારા તેને સ્વીકારવામાં આવી હતી. ત્યારબાદ તે 16 જૂન, 2025 ના રોજ ટ્રેડમાર્ક જર્નલમાં પ્રકાશિત થયું હતું. પ્રોટોકોલ મુજબ, જો કોઈને આ ટ્રેડમાર્કનો વિરોધ કરવો હોય, તો તે 120 દિવસની અંદર આમ કરી શકે છે. હવે કાયદાકીય પેઢીએ આ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે અને આવી સ્થિતિમાં ધોની માટે આ ટ્રેડમાર્ક મેળવવો મુશ્કેલ બની શકે છે.





















