સનાતન ધર્મમાં મહાશિવરાત્રીના પર્વને આસ્થા અને ભક્તિનું મહાપર્વ માનવામાં આવે છે. આ દિવસ માત્ર વ્રત કે ઉપવાસ પૂરતો સીમિત નથી પરંતુ તે શિવ અને શક્તિના મિલનનો પવિત્ર ઉત્સવ છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ રાત્રિએ બ્રહ્માંડમાં ગ્રહોની સ્થિતિ એવી હોય છે જે માનવ શરીરમાં આધ્યાત્મિક ઉર્જાનો સંચાર કરે છે. વર્ષ 2026 માં આવનારી મહાશિવરાત્રી ભક્તો માટે વિશેષ ફળદાયી સાબિત થવાની છે. દેવાધિદેવ મહાદેવ અને માતા પાર્વતીના વિવાહ ઉત્સવ તરીકે ઉજવાતા આ પર્વની તારીખ અને શુભ મુહૂર્ત અંગેની સંપૂર્ણ વિગતો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અહીં આપવામાં આવી છે.
તિથિ અને તારીખ
પંચાંગની ગણતરી મુજબ મહાશિવરાત્રીનો તહેવાર ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવાય છે. વર્ષ 2026 માં ચતુર્દશી તિથિની શરૂઆત 15 ફેબ્રુઆરીના રોજ સાંજે 05:04 વાગ્યે થશે અને તેનું સમાપન બીજા દિવસે એટલે કે 16 ફેબ્રુઆરીના રોજ સાંજે 05:34 વાગ્યે થશે. શાસ્ત્રોના નિયમ મુજબ શિવરાત્રીની પૂજા રાત્રે કરવામાં આવતી હોવાથી મહાશિવરાત્રી 15 ફેબ્રુઆરી 2026 ને રવિવારના રોજ ઉજવવામાં આવશે.
પૂજા માટેના શ્રેષ્ઠ મુહૂર્ત
શિવ ભક્તો માટે મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ કરવામાં આવતી પૂજાનું અનેરું મહત્વ હોય છે. 15 ફેબ્રુઆરીની રાત્રે પૂજાનો મુખ્ય સમય એટલે કે નિશિથ કાળ મુહૂર્ત રાત્રે 12:09 થી શરૂ થઈને મોડી રાત્રે 01:01 સુધી રહેશે. આ ઉપરાંત જે સાધકો આખી રાત જાગરણ કરીને શિવ આરાધના કરવા ઈચ્છે છે તેમના માટે રાત્રિના ચારેય પ્રહરના મુહૂર્ત નીચે મુજબ રહેશે.
પ્રથમ પ્રહરની પૂજા સાંજે 06:11 થી રાત્રે 09:23 સુધી કરી શકાશે. બીજા પ્રહરની પૂજા રાત્રે 09:23 થી મોડી રાત્રે 12:35 સુધી રહેશે. ત્રીજા પ્રહર માટેનો સમય મોડી રાત્રે 12:35 થી પરોઢિયે 03:47 સુધીનો છે. ચોથા અને અંતિમ પ્રહરની પૂજા સવારે 03:47 થી સવારે 06:59 સુધી કરી શકાશે.
જે ભક્તો વ્રત રાખે છે તેમણે વ્રતનું પારણ 16 ફેબ્રુઆરીએ સવારે 06:59 થી બપોરે 03:24 ની વચ્ચે કરવાનું રહેશે.
મહત્વ અને ફળ પ્રાપ્તિ
આ મહાપર્વનું ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ છે. પૌરાણિક માન્યતા છે કે આ દિવસે જે પણ જાતક સાચા હૃદયથી અને વિધિ વિધાન સાથે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની આરાધના કરે છે તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ખાસ કરીને જે યુવક કે યુવતીઓ મનગમતા જીવનસાથીની કામના રાખે છે અથવા જેના વિવાહમાં અડચણો આવી રહી છે તેમના માટે આ વ્રત વરદાન સમાન છે. વ્રતના નિયમો મુજબ શ્રદ્ધાળુઓએ સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા બાદ વ્રતનો સંકલ્પ લેવો જોઈએ અને આખો દિવસ સાત્વિક રહીને સાંજે ફરી સ્નાન કરીને શુભ મુહૂર્તમાં પૂજા કરવી જોઈએ. ભક્તિભાવ પૂર્વક કરેલું આ વ્રત જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે.





















