વકફ (સુધારા) અધિનિયમ-2025 અમલમાં આવ્યા બાદ મધ્યપ્રદેશે દેશમાં પ્રથમ વખત નવા કાયદા મુજબ રાજ્ય વકફ બોર્ડનું પુનર્ગઠન કર્યું છે. રાજ્ય સરકારે 10 સભ્યોના નવા વકફ બોર્ડની જાહેરાત કરી છે, જેમાં પ્રથમ વખત બે હિંદુ સભ્યોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. નવા કાયદા હેઠળ રાજ્યના વકફ બોર્ડમાં બિન-મુસ્લિમ સભ્યોને સામેલ કરવાની જોગવાઈ કરવામાં આવી હતી અને મધ્યપ્રદેશ આ જોગવાઈનો અમલ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
મધ્યપ્રદેશ સરકાર દ્વારા જારી કરાયેલા ગેઝેટ નોટિફિકેશન મુજબ મુખ્યમંત્રી મોહન યાદવે સંવર પટેલને નવા વકફ બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે મનોજ માલપાણી અને અનિમેષ ભાર્ગવને હિંદુ સભ્યો તરીકે બોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. નવા બોર્ડની રચનાને લઈને રાજકીય અને સામાજિક સ્તરે પણ ચર્ચા શરૂ થઈ છે.
નવા કાયદા બાદ પ્રથમ મોટું પગલું
કેન્દ્ર સરકારે વકફ (સુધારા) અધિનિયમ-2025 દ્વારા વકફ બોર્ડની રચના અને કામગીરી સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ જોગવાઈઓમાં ફેરફાર કર્યા હતા. આ સુધારા હેઠળ રાજ્ય સરકારોને વકફ બોર્ડમાં બિન-મુસ્લિમ સભ્યોને પણ નિયુક્ત કરવાની સત્તા આપવામાં આવી છે. આ જોગવાઈના આધારે મધ્યપ્રદેશ સરકારે વકફ અધિનિયમ, 1995ની કલમ 13(1) અને સુધારેલા કાયદાની કલમ 14 હેઠળ નવા બોર્ડનું પુનર્ગઠન કર્યું છે. સત્તાવાર રીતે રવિવારે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને નવા બોર્ડને અમલમાં લાવવામાં આવ્યો હતો. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, નવા કાયદા મુજબ વકફ બોર્ડની રચના કરનાર મધ્યપ્રદેશ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
વકફ બોર્ડ શું કામ કરે છે?
વકફ બોર્ડ એક કાયદેસર વૈધાનિક સંસ્થા છે, જે રાજ્યમાં આવેલી વકફ મિલકતોના સંચાલન, સુરક્ષા અને દેખરેખ માટે જવાબદાર હોય છે. વકફ મિલકતોમાં મસ્જિદો, કબ્રસ્તાનો, દરગાહો, ધાર્મિક સંસ્થાઓ તેમજ અન્ય દાનમાં મળેલી સંપત્તિઓનો સમાવેશ થાય છે. ,બોર્ડનું મુખ્ય કાર્ય વકફ મિલકતોનો રેકોર્ડ જાળવવો, તેની આવકનું સંચાલન કરવું, ગેરકાયદે દબાણથી મિલકતોનું રક્ષણ કરવું અને ધાર્મિક, શૈક્ષણિક તેમજ સામાજિક કલ્યાણ માટે આ સંપત્તિઓનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવો છે. વકફ બોર્ડને રાજ્ય સરકાર હેઠળ કાર્યરત એક મહત્વપૂર્ણ સંસ્થા માનવામાં આવે છે, જે કરોડો રૂપિયાની સંપત્તિના સંચાલન સાથે જોડાયેલી હોય છે.
નવા બોર્ડમાં કોણ-કોણ છે?
નવા વકફ બોર્ડના અધ્યક્ષ તરીકે સંવર પટેલની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત બોર્ડમાં નજમા હેપતુલ્લા, આતિફ અકીલ, ફૈઝાન ખાન, ફાતેમા ચૌધરી, શાઈસ્તા સુલતાન, શબાના ખાન, મનોજ માલપાણી અને અનિમેષ ભાર્ગવનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાછાત વર્ગ અને લઘુમતી કલ્યાણ વિભાગના કમિશનર બોર્ડમાં હોદ્દા અનુસાર (એક્સ-ઓફિસિયો) સભ્ય તરીકે રહેશે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર નજમા હેપતુલ્લાની અગાઉની નિમણૂક 2023માં કરવામાં આવી હતી અને તેમનો કાર્યકાળ એપ્રિલ 2028 સુધી હોવાથી તેમને નવા બોર્ડમાં યથાવત રાખવામાં આવ્યા છે.
હિંદુ સભ્યોની નિમણૂક કેમ મહત્વપૂર્ણ?
વકફ બોર્ડમાં પ્રથમ વખત હિંદુ સભ્યોને સ્થાન મળવું નવા કાયદાની સૌથી મહત્વપૂર્ણ જોગવાઈઓમાંથી એક માનવામાં આવી રહ્યું છે. અગાઉ રાજ્ય વકફ બોર્ડમાં માત્ર મુસ્લિમ સભ્યો જ સામેલ થતા હતા, પરંતુ સુધારેલા કાયદા બાદ હવે બિન-મુસ્લિમ સભ્યોને પણ બોર્ડમાં સ્થાન આપી શકાય છે. સરકારનું માનવું છે કે વિવિધ પૃષ્ઠભૂમિના સભ્યો જોડાવાથી વકફ મિલકતોના સંચાલનમાં વધુ પારદર્શિતા, જવાબદારી અને વ્યાવસાયિક અભિગમ આવી શકે છે. જોકે, આ સુધારાને લઈને દેશના કેટલાક રાજકીય પક્ષો અને મુસ્લિમ સંગઠનોએ વાંધો પણ વ્યક્ત કર્યો છે અને આ મુદ્દે અલગ-અલગ રાજ્યોમાં ચર્ચા ચાલી રહી છે.
વકફ સુધારા કાયદા પર ચાલી રહી છે ચર્ચા
વકફ (સુધારા) અધિનિયમ-2025 અમલમાં આવ્યા બાદ દેશભરમાં તેની વિવિધ જોગવાઈઓ અંગે ચર્ચા ચાલી રહી છે. સમર્થકોનું કહેવું છે કે સુધારેલા કાયદાથી વકફ મિલકતોનું સંચાલન વધુ પારદર્શક બનશે અને ગેરરીતિઓ પર નિયંત્રણ આવશે. બીજી તરફ કેટલાક મુસ્લિમ સંગઠનો અને વિરોધ પક્ષો આ કાયદાની કેટલીક જોગવાઈઓ અંગે અસહમતિ વ્યક્ત કરી રહ્યા છે. આ વચ્ચે મધ્યપ્રદેશ દ્વારા નવા કાયદા મુજબ વકફ બોર્ડનું પુનર્ગઠન કરવામાં આવતાં હવે અન્ય રાજ્યો પણ આગામી સમયમાં સમાન પ્રક્રિયા અપનાવે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.





