ભારતમાં LPG સિલિન્ડરનાં સપ્લાય અંગે છેલ્લા કેટલાક દિવસોથી ઊભી થયેલી અનિશ્ચિતતા વચ્ચે હવે રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. ‘MV Sunshine’ નામનું LPG જહાજ સફળતાપૂર્વક હોર્મુઝ સ્ટ્રેઇટ પાર કરી ગયું છે, જેના કારણે દેશના વિવિધ ભાગોમાં ગેસ પુરવઠો સ્થિર રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હોર્મુઝ વૈશ્વિક ઊર્જા પરિવહન માટે અત્યંત મહત્વપૂર્ણ માર્ગ છે જ્યાંથી વિશ્વના મોટા ભાગના તેલ અને ગેસના જથ્થાનો પરિવહન થાય છે. આ માર્ગમાં કોઈ પણ વિક્ષેપ ઊભો થાય તો તેની સીધી અસર ભારત સહિત અનેક દેશોના ઊર્જા પુરવઠા પર પડી શકે છે. આવી સ્થિતિમાં ‘MV Sunshine’ જહાજનું સુરક્ષિત રીતે પસાર થવું ભારત માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
LPG પુરવઠા પર અસર
આ ઘટનાથી દેશના ગેસ વિતરણ તંત્રમાં સ્થિરતા આવવાની સંભાવના છે. ખાસ કરીને અમદાવાદ જેવા મોટા શહેરોમાં, જ્યાં ઘરેલુ અને વ્યાપારી ઉપયોગ માટે એલપિજીની માંગ ઊંચી રહે છે, ત્યાં પુરવઠા અંગેની ચિંતા ઘટાડાશે. તાજેતરના સમયમાં વૈશ્વિક સ્તરે ઈંધણના ભાવમાં ઉથલપાથલ જોવા મળી રહી છે, જેના કારણે એલપિજીના દરોમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. જોકે, ટાંકર સફળતાપૂર્વક પહોંચતા પુરવઠાની સાંકળ મજબૂત રહેશે અને ભાવોમાં અચાનક વધારો થવાની શક્યતા ઓછી રહેશે.
અમદાવાદમાં હાલના LPGનો ભાવ
અમદાવાદમાં હાલ ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ સામાન્ય ગ્રાહકો માટે મહત્વપૂર્ણ મુદ્દો છે. બજારના હાલના ટ્રેન્ડ મુજબ, LPGના ભાવ સ્થિર રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જો કે વૈશ્વિક પરિસ્થિતિઓના આધારે તેમાં ફેરફાર શક્ય છે.
ગુજરાતના મુખ્ય શહેરોમાં ભાવ
અમદાવાદ (14.2 કિલો)નો ભાવ 920 રૂપિયા અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 3091 રૂપિયા
વડોદરામાં ઘરેલુ ગેસનો ભાવ 919 રૂપિયા અને કોમર્શિયલ ગેસના બાટલાનો ભાવ 3131 રૂપિયા
સુરતમાં 14.2 કિલો ગેસનાં બાટલાનો ભાવ 918.50 રૂપિયા અને 19 કિલોનાં બાટલાનો ભાવ 3024.50 રૂપિયા
રાજકોટમાં ઘરેલુ LPG સિલિન્ડરનો ભાવ 918 રૂપિયા અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 3061 રૂપિયા છે.
ગૃહિણીઓ અને સામાન્ય લોકો માટે ગેસનો ખર્ચ ઘરખર્ચનો મહત્વપૂર્ણ ભાગ છે. તેથી પુરવઠાની સ્થિરતા અને ભાવ નિયંત્રણ બંને બાબતો અગત્યની બની રહે છે.
વૈશ્વિક પરિસ્થિતિ
હોર્મુઝ સ્ટ્રેઈટ પરની પરિસ્થિતિ વૈશ્વિક રાજકીય અને આર્થિક પરિબળોથી પ્રભાવિત રહે છે. મધ્યપૂર્વમાં તણાવ વધે ત્યારે તેલ અને ગેસના પુરવઠા પર સીધી અસર પડે છે. ભારત, જે મોટા પ્રમાણમાં ઊર્જા આયાત પર નિર્ભર છે, માટે આવી પરિસ્થિતિઓમાં પુરવઠાની સુરક્ષા જાળવવી મહત્વપૂર્ણ બને છે. ભારત સરકાર દ્વારા વિવિધ સ્ત્રોતોમાંથી ઊર્જા આયાત અને સ્ટ્રેટેજિક રિઝર્વ બનાવવા જેવા પગલાં લેવામાં આવી રહ્યા છે, જેથી આવી અનિશ્ચિત પરિસ્થિતિઓમાં પણ દેશના ઊર્જા પુરવઠાને અસર ન પડે.





