ભારતમાં ઘરગથ્થુ ગેસ સિલિન્ડર (LPG) વાપરતા કરોડો ગ્રાહકો માટે મહત્વના બદલાવની ચર્ચા ચાલી રહી છે. સરકારી તેલ કંપનીઓ, ઈન્ડેન, ભારત ગેસ અને HP ગેસ – બુકિંગ અને ડિલિવરી સિસ્ટમમાં સુધારા માટે નવા નિયમો પર વિચારણા કરી રહી છે. જો આ ફેરફારો અમલમાં આવે તો તે સીધા સામાન્ય લોકોના રોજિંદા જીવનને અસર કરશે. હાલમાં કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર પહેલી મેથી કેટલાક નવા નિયમો લાગું થઈ શકે છે. આ બદલાવ ખાસ કરીને ગેસ બુકિંગ સમય, ડિલિવરી સિસ્ટમ અને સપ્લાય મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યા છે.
શું થઈ શકે છે બદલાવ
સૌથી મોટો બદલાવ ગેસ સિલિન્ડર બુકિંગ વચ્ચેના ગેપમાં જોવા મળી શકે છે. હાલ ઘણા ગ્રાહકો જરૂર મુજબ ગેસ બુક કરી શકે છે પરંતુ નવા પ્રસ્તાવ મુજબ હવે દરેક બુકિંગ વચ્ચે ઓછામાં ઓછો 25 દિવસનો ગાળો ફરજિયાત થઈ શકે છે. આ પગલાનો મુખ્ય હેતુ ગેસનાં જથ્થાબંધ બુકિંગ અને કાળાબજારીને રોકવાનો છે. મોટા પ્રમાણમાં ગેસ સ્ટોક કરનારા લોકો સામે નિયંત્રણ લાવવા માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો હોવાનું કહેવાય છે.
બીજો મહત્વનો બદલાવ OTP આધારિત ડિલિવરી સિસ્ટમને લઈને છે. આ સિસ્ટમ હાલ કેટલાક વિસ્તારોમાં અમલમાં છે, પરંતુ હવે તેને સ્થાયી બનાવવાની તૈયારી છે. ગેસ ડિલિવરી વખતે ગ્રાહકના રજીસ્ટર્ડ મોબાઈલ પર OTP આવશે અને તે આપ્યા પછી જ સિલિન્ડર હસ્તગત કરવામાં આવશે.
આ પણ વાંચો: દ્વારકામાં પોલીસ સ્પેશિયલ સેલનું ફાયરિંગ! : ગોળીબારમાં મજૂરના મોતથી પોલીસ પર સવાલો?
કેમ આવી શકે છે બદલાવ
આ તમામ ફેરફારો પાછળનું મુખ્ય કારણ વૈશ્વિક સપ્લાય ચેઈન પર પડતી અસર છે. ખાસ કરીને મધ્યપૂર્વમાં તણાવ અને હોર્મુઝ જળમાર્ગ જેવી મહત્વની સપ્લાય લાઈનમાં અવરોધનાં કારણે LPG સપ્લાય પર અસર થઈ રહી છે.
ભારતને દરરોજ લગભગ 80,000 ટન LPGની જરૂર પડે છે જેમાંથી મોટા ભાગનો જથ્થો આયત કરવામાં આવે છે. દેશની આંતરિક ઉત્પાદન ક્ષમતા માત્ર લગભગ 46,000 ટન જેટલી છે એટલે બાકીની જરૂરિયાત માટે આયાત પર નિર્ભરતા રહે છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતે હવે LPG આયાતના સ્ત્રોતોમાં વધારો કર્યો છે. પહેલા જ્યાં મોટાભાગનો ગેસ ખાડી દેશોમાંથી આવતો હતો, હવે અમેરિકા, નોર્વે, કેનેડા, રશિયા અને અન્ય દેશોમાંથી પણ સપ્લાય લેવાઈ રહ્યો છે.
ગ્રાહકો પર શું પડશે અસર?
જો 25 દિવસનો ગેપ ફરજિયાત બને છે તો મોટા પરિવાર કે વધુ ગેસ વપરાશ ધરાવતા ઘરોને મુશ્કેલી પડી શકે છે. તેઓએ ગેસનો ઉપયોગ વધુ આયોજન બદ્ધ રીતે કરવો પડશે. OTP આધારિત સિસ્ટમથી ડિલિવરીમાં પારદર્શિતા વધશે, પરંતુ ગ્રાહકો માટે મોબાઈલ નંબર અપડેટ રાખવો જરૂરી બનશે. ખોટો નંબર હોય તો ગેસ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.
હાલની સ્થિતિ શું છે?
અત્યાર સુધી સરકાર કે તેલ કંપનીઓ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ તમામ ફેરફારો હજી ચર્ચા સ્તરે છે. તેથી ગ્રાહકોને હાલના નિયમો મુજબ જ ગેસ બુકિંગ ચાલુ રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. જો સપ્લાયની સ્થિતિ સુધરે તો કદાચ આ નિયમોમાં ફેરફાર થઈ શકે અથવા અમલમાં વિલંબ પણ થઈ શકે.
જોકે આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે. સત્તાવાર જાહેરાત બાદ જ ચોક્કસ થશે કે આ નિયમો ક્યારે અને કેવી રીતે લાગુ પડશે. ગ્રાહકો માટે સૌથી મહત્વની બાબત એ છે કે તેઓ ગેસ એજન્સી સાથે પોતાના મોબાઇલ નંબર અને વિગતો અપડેટ રાખે અને ગેરસમજથી દૂર રહે.





