છેલ્લા કેટલાક સમયથી ભાગીને લગ્ન કરનારા સામે કડક નિયમો અમલમાં આવે તે માટે પાટીદારો સહિત વિવિધ સમાજના લોકો દ્વારા મુખ્યમંત્રી અથવા અન્ય મંત્રીઓને લેખિત કે મૌખિક રજૂઆતો કરવામાં આવી રહી છે. જેને ધ્યાને રાખી આજે યોજાનારી કેબિનેટ બેઠકમાં ચર્ચા કરી મહત્વનો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આ અંગે સરકાર કેબિનેટની મંજૂરી બાદ સત્તાવાર જાહેરાત કરશે. ત્યારે આ ફેરફારો પ્રેમી યુગલો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
કેબિનેટ બેઠકમાં થશે મહત્વની ચર્ચા
મળતી માહિતી અનુસાર, ગુજરાત સરકાર ભાગીને લગ્ન કરનારા યુગલો માટે લગ્ન નોંધણીના કાયદામાં વ્યાપક ફેરફારો કરવા જઈ રહી છે. પ્રસ્તાવિત નવા નિયમો હેઠળ, હવે લગ્ન રજિસ્ટ્રેશન પહેલા માતા-પિતાને જાણ કરવી ફરજિયાત બનશે. આવતીકાલે મળનારી કેબિનેટ બેઠકમાં આ સુધારા રજૂ કરવામાં આવી શકે છે. આમાં યુવતીના માતા-પિતાને નોટિસ મોકલવી, તેમને જવાબ આપવા 30 દિવસનો સમય આપવો અને યુવતીના સ્થાનિક વિસ્તારમાં જ નોંધણી કરાવવી જેવા કડક પગલાંનો સમાવેશ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આજે સાંજે કાયદા મંત્રી અને કાયદાશાસ્ત્રીઓ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં નવા કાયદાનો ડ્રાફ્ટ (ખરડો) તૈયાર કરવામાં આવશે. જો બધું યોજના મુજબ ચાલ્યું તો આવતીકાલની રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી માટે મૂકી શકાય છે.
માતા-પિતાને નોટિસ મોકલવી ફરજિયાત બનશે
નવા પ્રસ્તાવિત નિયમો અનુસાર, જ્યારે કોઈ યુગલ ભાગીને લગ્ન કરીને નોંધણી માટે અરજી કરશે ત્યારે રજિસ્ટ્રાર કચેરી દ્વારા તેમના માતા-પિતાને તાત્કાલિક નોટિસ મોકલવામાં આવશે. આ નોટિસનો જવાબ આપવા માટે વાલીઓને 30 દિવસનો સમય આપવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા વિના લગ્નનું પ્રમાણપત્ર જારી કરવામાં આવશે નહીં. આ પગલાનો મુખ્ય હેતુ માતા-પિતાને અંધારામાં રાખીને થતા લગ્નો પર અંકુશ મૂકવાનો અને પારદર્શિતા લાવવાનો છે.
લગ્ન નોંધણીનું સ્થળ પણ બદલાશે
આ સુધારામાં બીજો મોટો ફેરફાર લગ્ન નોંધણીના સ્થળ (જ્યુરિસ્ડિક્શન)ને લઈને છે. અત્યાર સુધી યુગલો ભાગીને કોઈ પણ જિલ્લામાં જઈને લગ્ન નોંધણી કરાવી શકતા હતા. પરંતુ નવા નિયમો અનુસાર, યુવતીના આધાર કાર્ડમાં નોંધાયેલા સરનામા વાળા વિસ્તારની સંબંધિત કચેરીમાં જ નોંધણી કરાવવી ફરજિયાત બનશે. આનાથી યુવતીના પરિવારને જાણ થયા વિના અન્ય જિલ્લામાં ગુપ્ત રીતે થતા રજિસ્ટ્રેશન પર અંકુશ આવશે.





















