બ્રિટનમાં સૌથી જૂની ભારતીય રેસ્ટોરન્ટ પર બંધ થવાનો ખતરો: વીરાસ્વામીની 100 વર્ષ જૂની લીઝ સમાપ્ત, માલિક કોર્ટ પહોંચ્યા
લંડનમાં આવેલી બ્રિટનની સૌથી જૂની અને ઐતિહાસિક ભારતીય રેસ્ટોરન્ટ 'વીરાસ્વામી' (Veeraswamy) ના અસ્તિત્વ પર મોટું સંકટ આવી પડ્યું છે. આ પ્રખ્યાત રેસ્ટોરન્ટ જે બિલ્ડિંગમાં ચાલે છે, તેના માલિક 'ક્રાઉન એસ્ટેટ' (Crown Estate) એ લીઝ લંબાવવાનો ઇનકાર કરી દીધો છે. ક્રાઉન એસ્ટેટ એ બ્રિટનની સરકારી સંપત્તિ સંસ્થા છે, જે ત્યાંના રાજા કે રાણીના નામે કામ કરે છે. આ વિવાદ હવે સેન્ટ્રલ લંડન કાઉન્ટી કોર્ટમાં પહોંચ્યો છે, જ્યાં 29 જૂનથી 5 દિવસ સુધી આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે.
જૂન 2025 માં પૂરી થઈ ગઈ છે લીઝ
વીરાસ્વામી રેસ્ટોરન્ટની વાર્ષિક 2.05 લાખ પાઉન્ડ (લગભગ 2.6 કરોડ રૂપિયા) ની લીઝ જૂન 2025 માં જ સમાપ્ત થઈ ચૂકી છે. બિલ્ડિંગના માલિકો આ ઇમારતમાં મોટા ફેરફારો કરવા માંગે છે, જેના કારણે કરાર આગળ વધારવામાં આવ્યો નથી. જો અદાલતમાંથી રાહત નહીં મળે, તો આ આઇકોનિક રેસ્ટોરન્ટે પોતાની 100 વર્ષ જૂની જગ્યા ખાલી કરવી પડશે.
100 વર્ષનો ભવ્ય ઇતિહાસ અને સેલિબ્રિટીઝની પસંદ
આ રેસ્ટોરન્ટની શરૂઆત એપ્રિલ 1926 માં એડવર્ડ પામર દ્વારા કરવામાં આવી હતી. આ માત્ર એક હોટેલ નથી, પરંતુ બ્રિટનમાં ભારતીય ભોજનના ઇતિહાસનું પ્રતીક છે. છેલ્લા 1 સદીના સમયગાળામાં અહીં બ્રિટનના પૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ, ચાર્લી ચેપ્લિન, માર્લન બ્રાન્ડો અને ખુદ મહારાણી એલિઝાબેથ દ્વિતીય (Queen Elizabeth II) જેવી મહાન હસ્તીઓ ભોજનનો સ્વાદ માણી ચૂકી છે. આ રેસ્ટોરન્ટને વર્ષ 2016 માં પ્રતિષ્ઠિત 'મિશેલિન સ્ટાર' (Michelin Star) પણ મળ્યો હતો.
અહીંથી જ શરૂ થઈ કરી સાથે બિયરની પરંપરા
વીરાસ્વામી સાથે એક રસપ્રદ કિસ્સો જોડાયેલો છે. એવું માનવામાં આવે છે કે ઇંગ્લેન્ડમાં ઇન્ડિયન કરી (Curry) સાથે બિયર પીવાનો ટ્રેન્ડ આ જ રેસ્ટોરન્ટથી શરૂ થયો હતો. ડેનમાર્કના રાજા જ્યારે પણ લંડન આવતા, ત્યારે અહીં જમવા ચોક્કસ પહોંચતા. તેમણે પોતાની મનપસંદ 'કાર્લ્સબર્ગ બિયર' નો એક આખો પીપો રેસ્ટોરન્ટમાં ખાસ રખાવ્યો હતો. આ ઐતિહાસિક રેસ્ટોરન્ટ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જર્મન બોમ્બમારાથી પણ સુરક્ષિત બચી ગયું હતું.
જગ્યા બદલવાનો ખર્ચ 50 લાખ પાઉન્ડ સુધી પહોંચશે
રેસ્ટોરન્ટની પેરન્ટ કંપની 'MW Eat' ના જણાવ્યા અનુસાર, જો તેમણે આ જગ્યા છોડવી પડશે તો લંડનના મોંઘા વિસ્તાર વેસ્ટ એન્ડમાં નવી જગ્યા શોધવી પડશે. નવું આધુનિક રસોડું, ઇન્ટિરિયર અને લાઇસન્સ મેળવવામાં તેમજ રેસ્ટોરન્ટ બંધ રહેવાના કારણે થનારા નુકસાન સહિત કુલ ખર્ચ 50 લાખ પાઉન્ડ (લગભગ 57 થી 58 કરોડ રૂપિયા) સુધી પહોંચી શકે છે. કંપનીનો આરોપ છે કે ક્રાઉન એસ્ટેટ દ્વારા ઓફર કરાયેલું વળતર આ નુકસાનની સરખામણીએ ઘણું ઓછું છે.





