'લોક-અપ 2'માં ભોજન મુદ્દે વિવાદ, સુનીતા આહુજા ભાવુક થઈ
નેટફ્લિક્સના રિયાલિટી શો 'લોક-અપ 2'માં ભોજનને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. તાજેતરમાં સ્ટ્રીમ થયેલા એપિસોડમાં અભિનેતા ગોવિંદાની પત્ની સુનીતા આહુજા ભોજનની ગુણવત્તા અને પૂરતા ખોરાકના અભાવ અંગે ભાવુક થઈ ગઈ હતી. તેમણે દાવો કર્યો કે તેમને આપવામાં આવેલ સૂપની ગુણવત્તા ખૂબ જ ખરાબ હતી. આ દરમિયાન તેમણે શો છોડવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.
ભોજન ન મળતા સ્પર્ધકોએ કર્યો વિરોધ
એપિસોડમાં ઘણા સ્પર્ધકો ભોજનની અછતને લઈને નારાજ જોવા મળ્યા હતા. શોની ફોર્મેટ મુજબ, સ્પર્ધકોને મળેલા પોઈન્ટ્સના આધારે જ અઠવાડિયાનું રાશન અને ભોજન મળે છે. કેટલાક સ્પર્ધકોનું કહેવું હતું કે ઉપલબ્ધ ભોજન પૂરતું નથી અને તેની ગુણવત્તા પણ સંતોષકારક નથી.
સુનીતા આહુજાએ શું કહ્યું?
સુનીતા આહુજાએ જણાવ્યું કે તેઓ ડાયાબિટીસથી પીડિત છે અને સમયસર ભોજન ન મળવાથી તેમને તકલીફ થઈ હતી. તેમણે કહ્યું કે ભૂખ્યા રહેવાના કારણે તેમની તબિયત પર અસર પડી અને તેઓ માનસિક રીતે પણ અસ્વસ્થ અનુભવતા હતા. શો દરમિયાન તેઓ ભાવુક થઈ ગયા અને કહ્યું કે તેઓ હવે રમત આગળ ચાલુ રાખવા માંગતા નથી. તેમણે એ પણ જણાવ્યું કે ગોવિંદાએ તેમને આ શોમાં ભાગ ન લેવા માટે અગાઉ સલાહ આપી હતી.
હોસ્ટ રિતેશ દેશમુખે આપ્યો જવાબ
હોસ્ટ રિતેશ દેશમુખ સ્પર્ધકોની ફરિયાદ પર કહ્યું કે મેડિકલ જરૂરિયાત ધરાવતા સ્પર્ધકો માટે અલગથી સૂપ અને જરૂરી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે ભોજનનું વિતરણ શોના નિયમો અને ઉપલબ્ધ પોઈન્ટ્સના આધારે કરવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું કે સ્પર્ધકોએ પોતાના પોઈન્ટ્સનું યોગ્ય આયોજન ન કરતાં અઠવાડિયું પૂરું થાય તે પહેલાં જ તેમનો કોટા સમાપ્ત થઈ ગયો હતો.
નવા ટાસ્કથી મળ્યા વધારાના પોઈન્ટ્સ
ભોજનને લઈને વધતા વિવાદ બાદ નિર્માતાઓએ સ્પર્ધકો માટે નવો ટાસ્ક યોજ્યો, જેમાં જીતનારને વધારાના પોઈન્ટ્સ આપવામાં આવ્યા જેથી તેઓ વધુ ભોજન ખરીદી શકે.
શિલ્પા શિંદેની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી
શોમાં અભિનેત્રી શિલ્પા શિંદે પ્રથમ વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે જોડાઈ રહી છે. નવા પ્રોમોમાં તેમની અને સુનીતા આહુજા વચ્ચે તીવ્ર બોલાચાલી પણ જોવા મળી રહી છે, જેના કારણે આગામી એપિસોડને લઈને દર્શકોમાં ઉત્સુકતા વધી છે.
શો ફરી ચર્ચામાં
'લોક-અપ 2' શરૂઆતથી જ વિવાદો, સ્પર્ધકોના નિવેદનો અને ઘરમાં થતા મતભેદોને કારણે ચર્ચામાં રહ્યો છે. હવે ભોજનના મુદ્દે થયેલા વિવાદે પણ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. જોકે, શોના નિર્માતાઓ તરફથી ભોજનની વ્યવસ્થા અંગે સત્તાવાર રીતે કોઈ વધારું નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.





