સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી-દશાડા તાલુકાના નાવયાણી ગામે આવેલી એક ખાનગી કંપનીની કેન્ટીનમાં ભોજન દરમિયાન ગરોળી નીકળતા ત્રણ જેટલા કામદારોની તબિયત લથડી જવાની ઘટના સામે આવી છે. આ બનાવ બાદ કામદારોમાં ભારે રોષ ફેલાયો છે અને ખાદ્યસુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
કેન્ટીનમાં ભોજન દરમિયાન ગરોળી નીકળી!
માહિતી મુજબ, નાવયાણી ગામે આવેલી ખાનગી કંપનીમાં કામદારો રોજિંદા પ્રમાણે કેન્ટીનમાં બપોરનું ભોજન કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક ભોજનમાંથી ગરોળી નીકળતા હડકંપ મચી ગયો હતો. ભોજન લીધેલા ત્રણ કામદારોને અચાનક ઉલ્ટી અને બેછેની જેવી તકલીફ અનુભવાતા તેમની તબિયત લથડી ગઈ હતી. સાથી કામદારોએ તરત જ તેમને પ્રાથમિક સારવાર અપાવી અને સાવચેતીના ભાગરૂપે આરોગ્ય ચકાસણી માટે મોકલ્યા હતા.
કોન્ટ્રાક્ટરે ઉડાઉ જવાબn આપતા કામદારોમાં રોષ
ઘટનાની જાણ કંપનીના કોન્ટ્રાક્ટરને કરવામાં આવી હતી, પરંતુ કામદારોના આક્ષેપ મુજબ કોન્ટ્રાક્ટરે ઉડાઉ જવાબ આપતા વધુ રોષ ફાટી નીકળ્યો હતો. કામદારોનું કહેવું છે કે કેન્ટીનમાં સ્વચ્છતા જાળવવામાં બેદરકારી દાખવવામાં આવી રહી છે અને ભોજનની ગુણવત્તા અંગે પણ યોગ્ય દેખરેખ રાખવામાં આવતી નથી. તેઓએ માંગ કરી છે કે આ ગંભીર બેદરકારી બદલ સંબંધિત કોન્ટ્રાક્ટર સામે યોગ્ય અને કડક પગલાં લેવામાં આવે. આ બનાવે કંપનીની કેન્ટીન વ્યવસ્થા અને ખાદ્ય સુરક્ષાને લઈને સવાલો ઊભા કર્યા છે. કામદારોનું કહેવું છે કે ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે તંત્ર દ્વારા નિયમિત તપાસ અને કડક નિયંત્રણ જરૂરી છે.




















