Vadodara Central Jail: વડોદરા સેન્ટ્રલ જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 60 વર્ષીય વૃદ્ધ કેદીનું અચાનક મોત થતાં જેલ પ્રશાસનમાં ચકચાર મચી ગઈ છે. મૃતક કેદી ગોપાલભાઈ ઉર્ફે જનકભાઈ રતિલાલ શેઠ (પંચમહાલ જિલ્લાના કલોલના વતની) જેલના ટોયલેટમાં અચાનક ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ ત્યાં પહોંચતાં પહેલાં જ તેમનું અવસાન થઈ ગયું. પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
તબિયત લથડી અને તેઓ જમીન પર ઢળી પડ્યા
જાણવા મળ્યું છે કે ગોપાલભાઈ વર્ષ 2024થી શ્વાસ સંબંધિત ગંભીર બીમારીથી પીડાતા હતા અને તેમની સારવાર પણ ચાલુ હતી. ઘટના ગઈકાલે સાંજે બની હતી, જ્યારે તેઓ ટોયલેટમાં ગયા ત્યારે તબિયત લથડી અને તેઓ જમીન પર ઢળી પડ્યા. જેલ સ્ટાફે તરત જ તેમને હોસ્પિટલમાં પહોંચાડ્યા, પરંતુ તબીબોએ મૃત જાહેર કર્યા. મૃતદેહને સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે અને મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. અને પરિવારજનોને સૂચના આપવામાં આવી છે.
પાવાગઢ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો હતો
મૃતક સામે 2017માં પાવાગઢ પોલીસ સ્ટેશનમાં IPC કલમ 302, 201, 120(બી) અને 114 હેઠળ કેસ નોંધાયો હતો, જેમાં કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. જેલ વહીવટીતંત્ર દ્વારા પણ આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ જેલમાં કેદીઓની આરોગ્ય સંભાળ અને દેખરેખ અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી થશે.




















