Ahmedabad college controversy : અમદાવાદની પ્રખ્યાત LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ (LD College of Engineering) માં એક મોટો વિવાદ સામે આવ્યો છે. અહીં 'શુદ્ધ શાકાહારી' તરીકે ચાલતી કોલેજ કેન્ટીનમાં ઇંડાની વાનગીઓ પીરસવામાં આવતી હોવાનો ખુલાસો થતાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓના એક જૂથ દ્વારા આ અંગે સત્તાવાર ફરિયાદ કરવામાં આવ્યા બાદ કોલેજ વહીવટીતંત્રે કેન્ટીન સંચાલકને કડક નોટિસ ફટકારી છે અને ભવિષ્યમાં કરાર રદ કરવાની પણ ચેતવણી આપી છે.
વિદ્યાર્થીઓની લાગણી દુભાઈ
ગયા અઠવાડિયે કોલેજના કેટલાક વિદ્યાર્થીઓએ ભેગા મળીને આ બાબતે કોલેજના પ્રિન્સિપાલ અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) ના વાઇસ ચાન્સેલરને લેખિત ફરિયાદ કરી હતી. વિદ્યાર્થીઓનું કહેવું છે કે કેન્ટીન પોતાને 'શુદ્ધ શાકાહારી' ગણાવે છે, પરંતુ ત્યાં નોન-વેજ (ઇંડા) પીરસીને શાકાહારી વિદ્યાર્થીઓની ધાર્મિક, સાંસ્કૃતિક અને વ્યક્તિગત લાગણીઓને ભારે ઠેસ પહોંચાડવામાં આવી રહી છે.
અમદાવાદની 12 શાળાઓમાં બંધ થઈ શકે છે 17 વર્ગો!: DEOએ બોલાવી તાત્કાલિક સુનાવણી, જાણો તમારા વિસ્તારની શાળા પણ સામેલ છે કે નહીં
એક જ વાસણનો ઉપયોગ કરવાનો આરોપ
વિદ્યાર્થીઓએ પોતાની ફરિયાદમાં ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે કેન્ટીનમાં શાકાહારી ખોરાક અને ઇંડાની વાનગીઓ રાંધવા માટે એક જ તપેલી અને રસોઈના વાસણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોલેજના ત્રીજા વર્ષના એક વિદ્યાર્થીએ જણાવ્યું કે, અગાઉ અમને એવું કહેવામાં આવ્યું હતું કે ઇંડા અલગ વાસણમાં રાંધવામાં આવે છે, પરંતુ અમે પોતે તેમને એક જ વાસણનો ઉપયોગ કરતા જોયા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ શાકાહારી હોવાથી આ બાબત બિલકુલ સ્વીકાર્ય નથી.
કોલેજ પ્રિન્સિપાલ દ્વારા કડક કાર્યવાહી
આ વિવાદ અંગે LD કોલેજ ઓફ એન્જિનિયરિંગના પ્રિન્સિપાલ એન. એન. ભૂપતાનીએ જણાવ્યું કે, ફરિયાદ મળ્યા બાદ અમે તેની તપાસ કરાવી હતી. કેન્ટીન ઓપરેટરને નોટિસ આપીને સ્પષ્ટપણે કેન્ટીનમાં ઇંડાની વાનગીઓ ન પીરસવા આદેશ કરવામાં આવ્યો છે. સંચાલકે પણ આ નિયમનું પાલન કરવાની ખાતરી આપી છે. આ ઉપરાંત, કોલેજની ફેકલ્ટીને પણ સતત ચેકિંગ કરવા માટે કહેવામાં આવ્યું છે જેથી જાણી શકાય કે ઓપરેટર નિયમ પાળે છે કે નહીં.
ઘર ખરીદવાનું વિચારતા લોકો માટે સૌથી મોટા સમાચાર: અમદાવાદ સહિત ગુજરાતમાં 15 દિવસ પછી નવા ઘરની કિંમતમાં થઇ શકે છે 5 થી 7 લાખનો વધારો
કરાર રદ થવાની ચેતવણી
કોલેજ સત્તાવાળાઓએ આ બાબતને ખૂબ ગંભીરતાથી લીધી છે. તેમણે જણાવ્યું છે કે જો સંચાલક આ નોટિસ પછી પણ સુધારો નહીં કરે, તો તેનો કરાર રિન્યૂ કરવામાં આવશે નહીં. કેન્ટીન ચલાવવાનો છ મહિનાનો કરાર હવે માત્ર એક મહિનામાં જ પૂરો થવાનો છે. નોંધનીય છે કે આ સંચાલકને આપવામાં આવેલી આ બીજી નોટિસ છે. આશરે દોઢ મહિના પહેલા પણ આવી જ એક ફરિયાદ મળ્યા બાદ પ્રથમ નોટિસ આપવામાં આવી હતી.
અન્ય સુવિધાઓ અંગે પણ સવાલ
આ કેન્ટીન આખો દિવસ ચાલે છે, જ્યાં વિદ્યાર્થીઓને સવારના નાસ્તાથી લઈને લંચ અને ડિનર સુધીનું ભોજન મળે છે. પરંતુ ઇંડાના વિવાદ ઉપરાંત, વિદ્યાર્થીઓએ કેન્ટીનમાં પીરસવામાં આવતા ભોજનની નબળી ગુણવત્તા, અસ્વચ્છતા, ખરાબ સ્વાદ અને સુરક્ષાના ધોરણો (Safety Standards) અંગે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. વિદ્યાર્થીઓ હવે કેન્ટીનમાં સંપૂર્ણ સુધારાની માંગ કરી રહ્યા છે.





