Ketan Agarwal case: પુણેના ચર્ચિત કેતન અગ્રવાલ મર્ડર કેસમાં તપાસ આગળ વધતાં નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ કેસમાં હવે કારના ડ્રાઈવર વૈભવ જાધવે આપેલા નિવેદનથી તપાસને નવો વળાંક મળ્યો છે. ડ્રાઈવરે દાવો કર્યો છે કે બાલી ખાતે પ્રી-વેડિંગ શૂટ માટે જવાના દિવસે આરોપી સિયા કારમાં બેસવા તૈયાર નહોતી અને તેને તેના ભાઈએ બળજબરીથી કારમાં બેસાડી હતી. સાથે જ રસ્તામાં બનેલી કેટલીક ઘટનાઓ પણ હવે તપાસનો મહત્વનો ભાગ બની છે.
ડ્રાઈવરે શું જણાવ્યું?
તપાસ દરમિયાન ડ્રાઈવર વૈભવ જાધવે જણાવ્યું કે તેણે પુણેથી મુંબઈ એરપોર્ટ સુધી જવા માટે કાર બુક કરી હતી. તેના જણાવ્યા અનુસાર, સિયા બાલી જવા માટે તૈયાર નહોતી અને કારમાં બેસવાનો પણ ઇનકાર કરી રહી હતી. ત્યારબાદ તેના ભાઈ સાહિલે તેનો હાથ પકડીને તેને કારમાં બેસાડી હતી. ડ્રાઈવરના જણાવ્યા મુજબ, મુસાફરી દરમિયાન સિયા અને તેના ભાઈ વચ્ચે રસ્તામાં ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. ત્યારબાદ તમામ લોકો મુંબઈ એરપોર્ટ તરફ રવાના થયા.
ફૂડ કોર્ટ પર શું બન્યું?
ડ્રાઈવરના નિવેદન મુજબ, રસ્તામાં ચા-નાસ્તા માટે તમામ લોકો એક ફૂડ કોર્ટ પર રોકાયા હતા. તે દરમિયાન સિયા કોઈ બહાના હેઠળ કાર પાસે આવી અને કારમાંથી કેટલીક વસ્તુઓ કાઢીને પોતાના ખિસ્સામાં મૂકી હોવાનું તેણે જોયું હોવાનું જણાવ્યું છે. પછી જ્યારે તમામ મુસાફરોને મુંબઈ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા ત્યારે કેતન અગ્રવાલે ડ્રાઈવરને ફોન કરીને જણાવ્યું કે તેનો પાસપોર્ટ સહિત કેટલીક વસ્તુઓ કારમાં રહી ગઈ હોવાનું લાગી રહ્યું છે. જોકે ડ્રાઈવરે તપાસ કરતાં પાસપોર્ટ કારમાં મળ્યો નહોતો. તપાસ એજન્સીઓ આ પાસપોર્ટ ગાયબ થવાની ઘટનાની પણ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: સિયા અને ચેતનની લવ સ્ટોરીનું ક્રિકેટ કનેક્શન! : સોશિયલ મીડિયા નહીં, ક્રિકેટના મેદાનમાં થઈ હતી બંનેની ઓળખાણ
તપાસમાં હત્યાના કથિત કાવતરાની ચર્ચા
પોલીસ તપાસ મુજબ, 11 ફેબ્રુઆરીએ સગાઈ થયા બાદ આરોપી સિયાએ કેતનના ટ્રેકિંગના શોખનો લાભ લઈને તેની હત્યાનું કથિત કાવતરું રચ્યું હતું. તપાસમાં સામે આવેલી માહિતી મુજબ, જૂન મહિનામાં લોહગઢ કિલ્લા પર કેતનને લઈ જવાના અનેક પ્રયાસો થયા હતા. પોલીસના દાવા અનુસાર પ્રથમ અને બીજા પ્રયાસમાં કેતન બચી ગયો હતો. ત્યારબાદ 18 જૂને પ્રી-વેડિંગ ફોટોશૂટના બહાને તેને ફરી લોહગઢ કિલ્લા પર લઈ જવામાં આવ્યો હતો.
પોલીસનો દાવો શું છે?
તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, ત્રીજા પ્રયાસ દરમિયાન આરોપી સિયા અને તેના કથિત સાથીએ મળીને કેતનને ખીણમાં ધક્કો માર્યો હોવાનો આરોપ છે. પોલીસે આ સમગ્ર ઘટનાને પૂર્વ આયોજન સાથે થયેલી હત્યા ગણાવી છે અને તે દિશામાં તપાસ આગળ વધારી રહી છે. તપાસમાં મોબાઇલ ફોન, કોલ રેકોર્ડ, મુસાફરીની વિગતો, સીસીટીવી ફૂટેજ અને અન્ય ડિજિટલ પુરાવાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. ડ્રાઈવરનું નિવેદન પણ હવે મહત્વના પુરાવા તરીકે તપાસમાં સામેલ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: કેતન હત્યા કેસમાં મોટો ખુલાસો! : 3 વર્ષના પ્લાન માટે મંગેતરની હત્યાનું કાવતરું રચાયું હોવાનો દાવો
કેસમાં આગળ શું?
આ કેસ હાલમાં તપાસ હેઠળ હોવાથી અનેક મુદ્દાઓની હજુ સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે. પોલીસ વિવિધ સાક્ષીઓના નિવેદનો અને ફોરેન્સિક પુરાવાના આધારે સમગ્ર ઘટનાક્રમને જોડવાનો પ્રયાસ કરી રહી છે. આગામી દિવસોમાં તપાસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.





